શુક્રવારે છેલ્લે બેન્કિંગનું કામ પૂર્ણ કર્યાં પછી હવે જો તમારે બેંકનું કામ છે તો તમારો વારો છેક બુધવારે આવશે. દેશભરમાં બેંક કર્મચારીઓ બે દિવસની હડતાલ પર જઈ રહ્યાં છે.
- દેશભરના બેન્ક કર્મચારીઓનું એલાન
- સોમ અને મંગળ બે દિવસની હડતાલ
- બે દિવસમાં ખોરંભાશે અબજોના વ્યવહાર
સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં નવ બેંક યુનિયનના કેન્દ્રીય સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને સોમ અને મંગળ બે દિવસ સુધી હડતાલનું એલાન કર્યું છે. બેન્ક યુનિયનના દાવા અનુસાર આ હડતાલમાં દેશભરના 10 લાખ બેન્ક કર્મચારીઓ જોડાશે. અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની તમામ મોટી બેન્કોના કામકાજમાં તેની અસર વર્તાશે. બેન્ક યુનિયન્સનો દાવો છે કે સાર્વજનિક બેન્કોની સાથે ગ્રામીણ બેન્કો પણ તેમની સાથે જોડાવાની છે. કેન્દ્ર સરકારે IDBI બેન્ક સહિત અન્ય બે બેન્કનું ખાનગીકરણ કરવાની બજેટમાં જાહેરાત કરી હતી. મર્જર અને ખાનગીકરણને લીધે બેન્ક કર્મચારીઓને પોતાના રોજગાર પર સંકટ આવવાનો ડર છે.
- બેન્ક મેનેજમેન્ટ અસર ઓછી કરવા પ્રયત્નશીલ
- ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં નહીં આવે અડચણ
- UPI અને નેટબેન્કિંગથી થઈ શકશે ટ્રાન્ઝેક્શન
સોમ અને મંગળવારે બ્રાન્ચમાં જઈને થઈ શકે એવા કાર્યોમાં અડચણ જરૂરથી આવશે. પરંતુ બેન્ક મેનેજમેન્ટ પૂરતા પ્રયાસ કરી રહ્યું છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જળવાઈ રહે. બેન્ક મેનેજમેન્ટે ગ્રાહકોને આગ્રહ કર્યો છે કે બે દિવસમાં અતિ જરૂરી હોય તેવા ટ્રાન્ઝેક્શન UPI અને નેટબેન્કિંગના માધ્યમથી કરે. હવે જોવાનું એ છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વધુ પડતા પ્રભાવમાં સર્વર કામ કરે છે કે કેમ?