પાકિસ્તાનમાં સ્થિત એક મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું છે. ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી હતી અને મંદિરને ફરીથી બનાવવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં, પાકિસ્તાની પીએમે એમ પણ કહ્યું છે કે આ હુમલામાં સંડોવાયેલા કટ્ટરપંથીઓને જલદીથી પકડી લેવામાં આવશે. પીએમેએ એક ટ્વીટમાં પોતાનો મત રજૂ કર્યો અને કહ્યું કે ‘ભૂંગમાં ગણેશ મંદિર પર હુમલાની સખત નિંદા કરીએ છીએ. મેં પંજાબના આઈજીને પહેલેથી જ કહ્યું છે કે આ કેસમાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને જો પોલીસે કોઈ પ્રકારની બેદરકારી કરશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. આ મંદિરને સરકાર ફરીથી બનાવશે.
ભારતે આ સમગ્ર ઘટના સામે સખત વાંધો વ્યક્ત કરતા પાકિસ્તાની હાઇ કમિશનના પ્રભારીને બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલાઓ અંગે ભારતે પાકિસ્તાની રાજદ્વારીને પણ તેની ગંભીર ચિંતાઓ જણાવી છે. અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘અહીં પાકિસ્તાની હાઇ કમિશનના પ્રભારીને આજે બપોરે બોલાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાનમાં આ નિંદનીય ઘટના અને લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા અને તેમના ધાર્મિક સ્થળો પર સતત હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા આ મંદિરમાં તોડવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાક લોકો હાથમાં લાકડીઓ અને ઈંટો લઈને મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓને નુકસાન કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘અમે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.
પાકિસ્તાનમાં લઘુમતીઓના પૂજા સ્થાનો પર હુમલાની આ પહેલી ઘટના નથી. જાન્યુઆરી 2020 માં સિંધ સ્થિત માતા રાણી ભાટિયાની મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2020 માં પણ હુમલો થયો હતો. ડિસેમ્બર 2020 માં, કરક સ્થિત હિન્દુ મંદિરમાં કટ્ટરપંથીઓએ હંગામો મચાવ્યો હતો.