ગજબ છે આ વૃક્ષોની દુનિયા! ભારત દેશ વૃક્ષવૈવિધ્યથી ભરેલો છે.
@જગત કિનખાબવાલા, સ્પેરોમેન
હિન્દૂ ધર્મમાં આગવું સ્થાન ધરાવતું આ એક આગવા વૃક્ષ પંગારાનું મોભાદાર સ્થાન મહાભારતમાં પણ છે. ખુબજ દેખાવડા ફૂલોચ્છાદિત વૃક્ષને જોવાનો લાભ એક નયનરમ્ય નજરાણું છે. ભારતવર્ષમાં થતા સુંદર ફુલોવાળા વૃક્ષોમાં આ એક આગવું ઘરેણું છે. ફૂલોથી ભરેલું આ વૃક્ષ જોવાનો લ્હાવો મળે તેટલે બસ જોયાજ કરો, જોયાજ કરો! દેખાવ ઉપરાંત તેના ફૂલોમાં રહેલ પોષક અને ઔષધીય તત્વો માટે તે આયુર્વેદ તેમજ પક્ષીઓને મિજબાની માટે ઉપયોગી છે. હિન્દૂ ધર્મમાં ઇન્દ્રદેવના બગીચાનું ફુલ કહેવાય છે જયારે મહાકાવ્ય મહાભારતમાં તેનો વિશિષ્ટ રીતે ઉલ્લેખ થયેલો છે. હિન્દૂ માટે તે ત્રિમૂર્તિ તરીકે ઓળખ પામેલું છે. ત્રણ પડી ભેગી થઈને તેનું એક પાન બને છે. વચ્ચેની પાંખડી છે તે ભગવાન વિષ્ણુ, જમણી બાજુ બ્રહ્મા અને ડાબી બાજુ મહેશની પાંખડી એમ ત્રણ પાંખડી ભેગી થઇ ને એક પાન બને છે.
આવીજ રીતે ભારતમાં ક્રિસ્ટચિયન લોકોના ધર્મમાં ત્રય તરીકે પૂજનીય છે. તેવી રીતે પોર્ટુગીઝ લોકોમાં ફોલહાસ દ ત્રિનડેડ તરીકે પ્રચલિત. શ્રીલંકામાં તેમના નવા પાન ફૂટે તેને એપ્રિલ માસમાં આવતા નવા વર્ષના આગમન તરીકે જોવામાં આવે છે અને સિંહાલી ભાષામાં એરબડું તરીકે જાણીતું છે જયારે તામિનાડુમાં મુલમુરૃકાઈ તરીકે પ્રચલિત છે. ફળદ્રુપ જમીનમાં તે આકર્ષક ૮૦ ફૂટ સુધી ઊંચું તેમજ ૪૦ ફૂટ જેટલું ભરાવદાર અને પહોળું ફેલાય છે. મજબૂત ડાળીઓ ઉપર વાઘના વળાંકવાળા નખ જેવા અણીદાર ખીલા આકારની ફૂટ હોય છે. દેખાવડા ત્રિપાંખિયા પાન હીરા આકારના લગભગ ૬ ઇંચ લાંબા અને હોય છે.
જાન્યુઆરી મહિનાથી ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ધીરે ધીરે પંગારાનું વૃક્ષ સોળે કળાએ ફૂલોથી ખીલી ઉઠે છે અને એપ્રિલ મહિના સુધી ફૂલો ખીલતા રહે છે. ચમકીલા મોઢે શરમથી લાલી તરી આવે તેવા રક્તવર્ણ લાલ રંગના ફૂલોથી આખું વૃક્ષ ભરાઈ જાય છે જયારે તેવા સમયે આખા વૃક્ષ ઉપર ફક્ત ફૂલો હોય છે અને બધા પાન ખરી ગયેલા હોય છે. એટલેકે બસ રક્ત વર્ણ લાલ રંગની બોછાર થઇ જાય. બે થી ત્રણ મોટા ફૂલો એક સાથે ડાળીના છેવાડે ખીલે છે. દરેક ફૂલને પાંચ પાંખડી હોય છે. શિયાળો પૂરો થતાં અને વસંતઋતુની શરૂઆતમાં નવા પાન આવવા માંડે છે. ક્યારેક ઉનાળા સુધી તેની ઉપર ફૂલો ખીલેલા રહે છે. ફૂલોમાંથી ધીરે ધીરે નળાકાર/ સિલિન્ડરિકલ આકારની સીંગમાં એક સાથે એક કરતાં વધારે કસુંબી અને કાળા બીજ તૈયાર થાય છે, સીંગ ફૂટે છે અને આમ નવા છોડ તૈયાર કરવા માટેના બીજ તૈયાર. આ બીજને લકી બીજ પણ કહે છે. આ વૃક્ષના લાકડામાંથી નાની બોટ બને છે. તેના પાનમાંથી રસોઈમાં કઢી બનાવવામાં વપરાય છે. વિએટનામમાં તેના પાંદડામાં મીટ વીંટીને આથો લાવવા માટે વાપરવામાં આવે છે.
આ વૃક્ષની બીજી પેટા જાત પણ છે જેમાં આછા લીલા પત્તામાં ઉજળા પીળા રંગ અને નસો આકર્ષક રીતે જુદા પડે છે જેને વેરિગેટેડ પંગારા તરીકે ઓળખવામાં આવે છે અને આવા વૃક્ષમાં સફેદ ફુલ આવે છે.
જયારે ફૂલોથી વૃક્ષ ભરાઈ જાય ત્યારે તેની ઉપર પક્ષીઓની ખોરાકની જ્યાફત ઉડે છે અને પક્ષીઓ કલરવ સાથે આનંદથી તેના ફુલ ખાતા હોય તે પણ જોવા માટે હંમેશા આંખો તરસતી હોય. પૌષ્ટિક અને ઔષધીય તત્વોથી ભરપુર ફુલ તેમને આવનારી પ્રજનની ઋતુ માટે શારીરિક ક્ષમતા વધારી ખુબજ લાભદાયી બની રહે છે.
એક જમાનામાં તેની છાલ અને બિયાનો ઉપયોગ માછલીને પકડવા માટે દોરીની આગળ ખોરાકની લાલચ તરીકે બાંધવામાં વપરાતી જેનાથી માછલી સરળતાથી પકડાતી. આ વૃક્ષના વિવિધ નામ છે, જેવાકે ટાઇગર કલો ટ્રી, કોરકી કોરલ ટ્રી, લૅન્ટર્ન ટ્રી, સન શાઇન ટ્રી વગેરે.
(ફોટોગ્રાફ્સ અને વિડિઓ લેખકના છે અને સાથે દિપક પરીખ.)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ, સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો,