Pawan Khera granted bail: કોંગ્રેસ અધિવેશન પહેલા પાર્ટીના પ્રવક્તા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. પવન ખેડા કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા ઈન્ડિગોની ફ્લાઈટ 6E-204 દ્વારા રાયપુર જઈ રહ્યા હતા. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ પોલીસે તેમને ફ્લાઈટમાંથી ઉતરવા કહ્યું.
પવન ખેડાએ પોલીસ કસ્ટડીમાં જતા પહેલા જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું હતું કે તમારા સામાનમાં થોડી સમસ્યા છે, જ્યારે મારી પાસે એક જ હેન્ડબેગ છે. જ્યારે ફ્લાઈટમાંથી નીચે આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે તમે જઈ શકતા નથી. પછી કહેવામાં આવ્યું કે DCP તમને મળશે. જોકે, થોડા સમય પછી એ સ્પષ્ટ થયું કે આસામ પોલીસની ભલામણ પર દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. જણાવી દઈએ કે કોંગ્રેસે આ ધરપકડનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તરત જ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી માટે બપોરે 3 વાગ્યાનો સમય આપ્યો હતો. કોંગ્રેસ વતી મનુ સિંઘવીએ પવન ખેડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સુનાવણી દરમિયાન તેમણે કોર્ટમાં ખેડાની ધરપકડ પર સ્ટેની માંગણી કરી હતી. સુનાવણી બાદ પવન ખેડાને બપોરે 3:30 વાગ્યે કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
પવન ખેડાએ તાજેતરમાં અદાણીના મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકે છે તો નરેન્દ્ર ‘ગૌતમ દાસ’ મોદીને શું વાંધો છે? જો કે, નિવેદન આપ્યા બાદ ખેડાએ તેમની આસપાસના લોકોને પૂછ્યું કે શું તેમણે વડાપ્રધાનનું મધ્યમ નામ યોગ્ય રીતે કહ્યું છે. આ અંગે ખેડાએ કહ્યું કે, ‘નરેન્દ્ર ગૌતમદાસ મોદીને શું વાંધો છે?’ કોંગ્રેસના નેતાએ પાછળથી પૂછ્યું કે, આ ગૌતમ દાસ છે કે દામોદર દાસ? આ દરમિયાન પવન હસે છે અને ટોણો મારતા કહે છે કે ભલે નામ દામોદર દાસ હોય પણ તેમની રચનાઓ ગૌતમ દાસ જેવી જ છે. બાદમાં એક ટ્વીટમાં ખેરાએ સ્પષ્ટતા કરી કે તેઓ હકીકતમાં વડાપ્રધાનના નામને લઈને મૂંઝવણમાં હતા. આ નિવેદનને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ કહ્યું હતું કે દેશ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. આ મામલામાં ખેડા વિરુદ્ધ યુપીના લખનૌ અને વારાણસીમાં જ્યારે આસામના દિમા હસાઓમાં કેસ નોંધાયા હતા. આ કેસમાં આસામ પોલીસે દિલ્હી પોલીસને ખેડાની ધરપકડ કરવા વિનંતી કરી હતી. આસામ પોલીસનું કહેવું છે કે તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને આસામ લાવવામાં આવે. જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે.
જણાવી દઈએ કે આસામ પોલીસે પવન ખેડા વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તેમાં 500, 504, 505 (1) નકલી સમાચાર ફેલાવવા, 505 (2) સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવી, 120B (ગુનાહિત કાવતરું), 153A (વાતાવરણને ખલેલ પહોંચાડવી), 153B (1) એકતાને નુકસાનનો સમાવેશ થાય છે. જો આમાં દોષિત ઠરાશે તો 3 થી 5 વર્ષની સજા થઈ શકે છે. જણાવી દઈએ કે, પવન ખેડાની ધરપકડ બાદ ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-રાયપુર ફ્લાઈટમાંથી એક પેસેન્જરને ઓફલોડ કરવામાં આવ્યો હતો. આ પછી કેટલાક વધુ મુસાફરોએ નીચે ઉતરવાનું નક્કી કર્યું. અમે સત્તાધિકારીની સૂચનાઓનું પાલન કરી રહ્યા છીએ. ફ્લાઇટમાં વિલંબ માટે અમે મુસાફરોની માફી માંગીએ છીએ. ઈન્ડિગોએ ફ્લાઈટ કેન્સલ કરી છે. મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા રાયપુર મોકલવામાં આવશે.
આ પણ વાંચો: Lok Sabha/ લોકસભાની ચૂંટણી 2024 માં મમ્મતા બેનર્જી ગેમ ચેન્જર હશે, જાણો શું કહ્યું TMC નેતાએ