કિસાન આંદોલન દેશમાં નવા ઈતિહાસ સર્જવા તરફ આગળ વધી રહ્યું છે. ૧૯૮૬ પછીના સમયગાળામાં થયેલ આંદોલન કે જેના નેતા મહેન્દ્રસિંહ ટીકાયત હતા તેમણે સતત ૩૬ દિવસ સુધી ખેડૂત આંદોલન ચલાવી એક સરકારને ઝૂકાવી હતી. જો કે વખતના અખબારો કહે છે તે પ્રમાણે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ જાતે દરમિયાનગીરી કરીને આંદોલન પૂર્ણ કરાવ્યું હતું. પરંતુ આ વખતે આંદોલનને આઠ માસ થઈ ગયા છે. કોરોનાની પહેલી લહેર હતી ત્યારે શરૂ થયેલુ આંદોલન બીજી લહેર પૂર્ણ થવાના આરે છે અને ત્રીજી લહેર તોળાઈ રહી છે. (અમુક સ્થળે તો શરૂ પણ થઈ ગઈ છે તેવે સમયે ચાલુ જ છે. વણથંભી લડત ચાલુ જ રહી છે. ભલે કોરોનાની બીજી લહેર વકરી અને દિલ્હી – યુપી – હરિયાણાએ ત્રણેય રાજ્યોમાં લોકડાઉન હતું ત્યારે દિલ્હીની સરહદ પર આંદોલનકારીઓની સંખ્યા ઘટી હતી તે વાત સાચી પરંતુ લડત ચાલુ જ હતી. આંદોલનકારી નેતા રાકેશ ટિકૈતે વિવિધ રાજ્યોમાં ફરી ખેડૂતોને કૃષિબીલ અંગે જાગૃત કરતા હતા.
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાંની સાથે હવે ગુરૂવારથી આ આંદોલન સંસદ સુધી પહોંચ્યું છે. દિલ્હી સરકાર મંજુરી બાદ જંતરમંતર ખાતે એટલે કે સંસદ ભવનની બહુ દૂર નહિ તેવા સ્થળે ૨૦૦ ખેડૂતોએ એકઠા થઈ ‘કિસાન સંસદ’ યોજી તેના માધ્યમથી આ આંદોલનનો અવાજ સંસદ સુધી પહોંચાડવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. કિસાનો કૃષિકાયદાના વિરોધમાં ચર્ચા કરે છે, પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે અને સૂત્રોચ્ચાર પણ કરે છે. ટૂંકમાં પંજાબની શેરીઓમાંથી શરૂ થયેલી ખેડૂતોની લડાઈ હવે સંસદ સુધી પહોંચી ગઈ છે. ગુરૂવારે સંસદના બંને ગૃહોમાં પણ હંગામો થયો છે. વિપક્ષી સાંસદોએ ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો છે. પેગસેસે જાસુસીકાંડ, અખબારી જૂથ પર આવકવેરાના દરોડા અને મોંઘવારી બાદ હવે આ મુદ્દો પણ સંસદમાં છવાઈ ગયો છે. સંસદભવન બહાર પણ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચારો કર્યા જ છે.
કેન્દ્રના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ફરી એકવાર જાહેરાત કરી છે કે સરકાર ખેડૂતો સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. જાે કે સરકાર કૃષિકાયદામાં જરૂર લાગશે તો ખેડૂતનેતાઓની માગણી મુજબ સુધારા કરવા તૈયાર છે પણ આ ત્રણેય કાયદા રદ કરવા હરગીઝ તૈયાર નથી. બીજી બાજુ ખેડૂત નેતાઓ આ ત્રણેય કાયદા સંપૂર્ણપણે ખેડૂતવિરોધી હોવાનું કહી તેને રદ કરવાની માગણીને વળગી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો કાયદો રદ ન કરવાની રાજહઠ સામે કાયદો સંપૂર્ણપણે રદ કરવાની ‘જગતાત હઠ’ની ટક્કર છે.
આમ તો સરકારે કોર્ટના આદેશ બાદ નવા કૃષિકાયદાના અમલ પર રોક લગાવી છે. કૃષિકાયદાના કારણે જ સરકારે પંજાબનો પોતાનો વર્ષો જૂનો મિત્ર અકાલીદળ ગુમાવ્યો છે. ગુરૂવારે સંસદના પરિસરમાં જે દેખાવો થયા તેમાં અકાલીદળના સાંસદો પણ સામેલ થયા હતાં. આમ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ ત્રણ દિવસ નિષ્ફળ ગયા છે. ભારે દેકારાવાળા ગયા છે. પ્રશ્નોત્તરીની આંશિક કાર્યવાહી સિવાય કોઈ કામગીરી થઈ નથી અને એક રજા સહિત ચાર દિવસો પૂરા થઈ ગયા છે ત્યારે કેન્દ્રના જ એક પ્રધાને ખેડૂત આંદોલન સામે બકવાસ કર્યો છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લેનારા દિલ્હીના સંસદસભ્ય અને ભાજપના પૂર્વ પ્રવક્તા તરીકે સારી છાપ ઉભી કરનાર શ્રીમતી મિનાક્ષી લેખીએ ખેડૂત આંદોલન અંગે કહ્યું કે આંદોલન કરી રહ્યા છે તે ખેડૂતો નથી મવાલી છે. આ અપરાધિક ગતિવિધિઓ છે. મિનાક્ષી લેખીએ આંદોલનકારીઓને ખેડૂતો નહિ પણ ષડયંત્રકારીઓનો હાથો બનેલા લોકો છે. ખેડૂતો ખેતરમાં હોય જંતર મંતર પર ન બેસે. આ વાતનો જવાબ આપતા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો અન્નદાતા છે. તેને મવાલી કહી ભાજપના મંત્રી સમગ્ર કિસાન સમાજનું અપમાન કરી રહ્યા છે. પેગસેસે જાસૂસીકાંડ અંગે પત્રકાર પરિષદ કરી રહેલા આ ધારાશાસ્ત્રી મહિલા મંત્રીએ પત્રકારોને પછેલા પ્રશ્નના જવાબમાં આ વિધાન કર્યુ છે જેના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
એકબાજુથી સરકાર વતી કૃષિમંત્રી તોમર હજી પણ ખેડૂતો સાથે વાટાઘાટોની ઓફર કરતાં હોય ત્યારે બીજા પ્રધાન આંદોલનકારી ખેડૂતો વિષે અભદ્ર કે બિનસંસદીય શબ્દપ્રયોગો કરે તે કેટલે અંશે યોગ્ય છે ? ભૂતકાળમાં પણ કેટલાક પ્રધાનોએ બીનસંસદીય શબ્દ પ્રયોગો કર્યા છે. ખેડૂતોને ત્રાસવાદી પણ કહ્યા છે અને ખાલિસ્તાનવાદીઓ પણ કહ્યા છે. આ અંગે સોશ્યલ મિડિયામાં ભારે પ્રહારો થઈ રહ્યા છે. સરકારની વિરૂદ્ધમાં બોલનાર કોઈપણ વર્ગને રાષ્ટ્રવિરોધી ગણવાની આ ચેષ્ટા છે તેવું ઘણા વિશ્લેષકોએ કહ્યું છે. જગતાત માટે આવા વિધાનો કરવા તે યોગ્ય નથી. વિરોધ પક્ષના મોટાભાગના નેતાઓએ આ બાબતની ઝાટકણી કાઢીને કહ્યું છે કે સરકારના પ્રધાનો વચ્ચે સંકલન નથી. તેનો આ પૂરાવો છે. જ્યારે ખેડૂત આંદોલન શરૂ થયું ત્યારે અને ૨૬મી જાન્યુઆરીએ હિંસક આંદોલન થયું તેવે સમયે પણ તેને બદનામ કરવાનો પ્રયાસ થયો હતો. આ સમગ્ર હિંસા પાછળ માત્રને માત્ર ખેડૂત આંદોલનકારીઓ જવાબદાર છે તેવી વાત કરવામાં આવી હતી.
ખેડૂત આંદોલન અંગે સરકારે ૧૧ વાટાઘાટો કરી છે પરંતુ જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહમાં થયેલી છેલ્લી વાટાઘાટ થઈ નથી. સરકારના જવાબદાર ેતાઓને ખેડૂતોને બદનામ કરતાં વિધાનો કરવા પડે તે જ તેમની નિષ્ફળતા છે. રાજહઠ સામે જગતાત હઠની ટક્કર કેવા પરિણામો લાવે છે તે જાેવાનું રહે છે.