૨૦૨૦-૨૧ના પ્રથમ નવ માસમાં સરકારે પેટ્રોલ-ડિઝલના વેરા પેટે જ આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ કરતાં વધુ કમાણી કરી
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
સોશ્યલ મિડીયામાં થોડા સમય પહેલા ઉલ્લેખ હતો. ગુજરાતીમાં એક કહેવત છે ‘ઘાઘરા કરતાં નાડાની કિંમત વધારે’. આ કહેવત થોડી બીનસંસદીય છે તેથી ભદ્ર ભાષામાં આ કહેવતનું મૂલ્યાંકન કરીએ તો પેન્ટ કરતાં બેલ્ટની કિમત વધારે. અત્યારે જે રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવ છે તેની સાથે સરખાવીએ તો આ કહેવત સાચી પડે છે. તાજેતરના અહેવાલ પ્રમાણે આઠ રાજ્યોના ૧૩ શહેરોમાં પેટ્રોલના ભાવ સદીને વટાવી ગયા છે. ડિઝલ પણ એજ માર્ગે છે. હકિકતમાં તેલ અને ક્રુડની બાબતોના નિષ્ણાત કહે છે તે પ્રમાણે ૧૦૦ ની કિંમત માંડીને ચાલીએ તો ૩૫ રૂપિયાની પડતર કિંમતવાળા પેટ્રોલ પર ૫૩ રૂપિયાનો ટેક્સ છે, બાકી અન્ય ખર્ચ છે. ટેક્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ડ્યુટી આવી જાય છે. ૩૫ રૂપિયાના પેટ્રોલ પર ૫૩ રૂપિયા ટેક્ષની વાત ઉપરોક્ત કહેવત સાચી ઠેરવે છે. રવિવારે ભાવનગરના પેટ્રોલનો ભાવ રૂા. ૯૬.૦૩ પૈસા અને ડિઝલનો ભાવ રૂા.૯૬.૬૩ પૈસા હતો. ગુજરાતમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ અને ડિઝલ ભાવનગરમાં મળે છે. પેટ્રોલ-ડિઝલનો વપરાશ કરનારાઓ જેટલો વેરો ભરે છે તેટલું અન્ય કોઈ ચૂકવતું નથી તે હકિકત છે.
કોરોનાકાળ એટલે કે ૨૦૨૦ના જાન્યુઆરીથી ૧૫મી જૂન કે ત્યારપછીના સમયગાળામાં ૪૫ લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી. રોજેરોજનું કમાઈને જીવન ગુજારનારા કરોડો લોકોએ પોતાની આવક ગુમાવી તેવે સમયે લોકોને ભાગે તો કોરોના લોકડાઉનની સાથે મોંઘવારીનો માર ખમવાનો વારો આવ્યો છે. હવે ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ દરમિયાન (માર્ચ ૨૦૨૧ સુધીમાંના વર્ષ પૈકી ૨૦૨૦ ડિસેમ્બર સુધીના જે સત્તાવાર આંકડાઓ જાહેર થયા છે તે પ્રમાણે લોકોએ આવકવેરા પેટે રૂા. ૪.૬૯ લાખ કરોડ ભર્યા છે. જ્યારે કોર્પોરેટ કંપનીઓ કે શેરબજાર સહિતનો બીઝનેસ કરનારા લોકોએ ૪.૫૭ લાખ કરોડની રકમ ચૂકવી છે. જ્યારે ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન પેટ્રોલ ડિઝલ વગેરેના વેચાણથી રૂા. ૫.૨૫ લાખ કરોડ રૂપિયાનો ટેક્ષ મળ્યો છે. આ રકમમાં કેન્દ્ર દ્વારા વસૂલાતી એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્યો દ્વારા લેવાતી વેટ અને કોરોનાકાળમાં, પેટ્રોલ, ડિઝલ પર લદાયેલ સેસ પણ આવી જાય છે. જાે કે આવક ઉપર જણાવી ગયા તે પ્રમાણે ડિસેમ્બર ૨૦૨૦ સુધીની છે. આ આંકમાં ૨૦૨૧માં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં થયેલ આવક સામેલ નથી. આ આવક પણ રૂ. સવા કે દોઢ લાખ કરોડથી ઓછી તો નહિ જ હોય તેવો અંદાજ સહેજેય લગાવી શકાય તેમ છે.
આમ સરકારની પેટ્રોલ-ડિઝલના વેરાની આવક તો સવા છ લાખ કરોડથી ઓછી નહિ જ હોય. હવે ૨૦૧૯-૨૦૨૦ એટલે કે એપ્રિલ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ના સમયગાળા દરમ્યાન સરકારને પેટ્રોલ ડિઝલ પર વેરાના રૂા. ૪.૨૩ લાખ કરોડ મળ્યા હતા. જ્યારે આવકવેરામાં ૪.૮૦ લાખ કરોડ અને કોર્પોરેટ ટેક્ષ ૫.૫૬ લાખ કરોડ થયો છે. આમ આ વર્ષમાં કોર્પોરેટ ટેક્ષ સરકારની તીજાેરી ભરવાનું મુખ્ય સાધન રહ્યો છે. આ અંગે સરકારની આવક પેટ્રોલ-ડિઝલનો વપરાશ ૧૦ ટકા ઘટ્યો હોવા છતાં સરકારને થતી વેરાની આવકમાં અગાઉના વર્ષના પ્રમાણમાં ૨૫ ટકાનો વધારો થયો છે.
હવે નવા નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રણ માસ એપ્રિલ મે જૂન ગણાય. હવે ત્રીજી મે થી ૪૧ દિવસના સમયગાળા દરમિયાન પેટ્રોલ ડિઝલના ભાવમાં ૧ લીટરે ૬ થી ૭ રૂપિયાનો ધરખમ વધારો થયો છે. ગુજરાતની વાત કરીએ તો ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારે બે-બે મળી ચાર ટકા ટેક્સ ઘટાડ્યો હતો. ત્યારબાદ પેટ્રોલનો ભાવ ગુજરાતમાં રૂા. ૭૦ અને ડિઝલનો ભાવ ૬૮ હતો હવે સવા ચાર વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં રૂા. ૨૫ થી ૨૬ રૂપિયાનો અને ડિઝલના ભાવમાં ૨૮ થી ૩૦ રૂપિયા જેવો વધારો થયો છે. હવે કદાચ ચૂંટણી ટાણે સરકાર પેટ્રોલ-ડિઝલ પરની ડ્યૂટી બે-બે રૂપિયા ઘટાડે તોય શું ફેર પડવાનો હતો.
છેલ્લા ૧૦ માસમાં ભાવનગર સહિતના ઘણા શહેરોમાં સીએનજીવાળી રીક્ષાનું ચલણ વધ્યું છે. તેનું પણ આજ મહત્ત્વનું કારણ છે જાે કે બાઈકચાલકો કે જે ગરીબ મધ્યમ અને ઉચ્ચતર મધ્યમ વર્ગના હોય છે તેના પર તો પેટ્રોલના ભાવવધારાનો બોજ પડ્યો જ છે તો ટ્રક સહિતના પરિવહન કરતાં વાહનચાલકો પર ડિઝલના ભાવવધારાનો બોજ પડ્યો જ છે તે હકિકત છે અને તેના કારણે જીવનજરૂરી ચીજાેના ભાવો પર પણ અસર થઈ છે. છેલ્લા ત્રણ માસમાં રિટેઈલ અને જથ્થાબંધ ફૂગાવો વિક્રમસર્જક સપાટી પર પહોંચ્યો તેનું પણ આજ કારણ છે. પેટ્રોલ અને ડિઝલ પરના વેરા ઘટાડાની પહેલા વાતો થાય છે. ઘણીવાર પેટ્રોલ ડિઝલને જી.એસ.ટી. માળખામાં સમાવી લેવાની વાતો પણ થાય છે. આવી વાતો થાય ત્યારે લોકોના મનમાં આશા જાગે છે પરંતુ આ વાતો માત્ર બોલવામાં કે કાગળ પર રહે છે ત્યારે લોકો પરનો બોજ તો વધતો જ જાય છે. આ વાત માત્ર કાગળ પર જ રહી જાય છે. વાસ્તવિકતા બનતી નથી તેનું પરિણામ એ આવે છે કે લોકોને તો મોંઘવારીના માર વચ્ચે જીવવાનો વારો જ આવે છે. આ પણ એક હકિકત છે. જેની કોઈ ના પાડી શકે તેમ નથી. કોરોનાકાળમાં લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે. આવક કરતાં વધુ ખર્ચ કરવો પડ્યો છે તો ઘણા લોકોની આવકમાં પણ ઘટાડો થયો છે. અગર તો આવક વગરના થઈ ગયા છે. આ સંજાેગોમાં સરકારને તો જી.એસ.ટી., એક્સાઈઝ ડ્યુટી, કોર્પોરેટ ટેક્ષ, આવકવેરાની સાથે રાજ્યોને પણ વેટની ધરખમ આવક મળી છે. છતાંય આર્થિક ખેંચતાણનો કકળાટ ચાલું જ રહ્યો છે. આ પણ એક હકિકત છે.
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ તાજેતરમાં આ વાત કહી હતી કે પેટ્રોલ ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો પ્રશ્ન નથી. રાજ્ય સરકારો પોતાનો વેરો ઘટાડવો હોય તો ઘટાડી શકે છે. જાે કે કેન્દ્ર ન ઘટાડે તો પછી રાજ્ય સરકારો તો આ દિશામાં આગળ ન જ વધે તે સ્વાભાવિક છે.
પેટ્રોલ-ડિઝલના ભાવ સવા ચાર વર્ષમાં જે રીતે વધ્યા છે તેના કારણે કેન્દ્ર સરકારે જ જંગી આવક ઉભી કરી છે. કારણ કે એક્સાઈઝ ડ્યુટી ૩૩ ટકા છે જ્યારે બાકીની રાજ્યોવાર વેટ છે. જી.એસ.ટી.ના ૨૮ ટકાના માળખા હેઠળ પેટ્રોલ અને ડિઝલને લાવવામાં આવે તો લોકોને ૫૫ થી ૬૦ રૂપિયા કરતાંય ઓછી કિંમતે પેટ્રોલ-ડિઝલ મળી શકે તેમ છે પણ આ જાેખમ કોણ કરે ? આજ મોટો સવાલ છે.