સંજય મહંત, સુરત@ મંતવ્ય ન્યૂઝ
ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર હાઇવે ખાતે ભટારના ભાવેશ મહેતાની ગત 17મી જૂને હત્યા કરાયેલી લાશ કારમાંથી મળી હતી. આ કેસમાં સુરત ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે અનિલ કાઠી ગેંગના 2 સાગરિતને રાંદેરથી ઝડપી પાડ્યા છે. અનિલ કાઠી સહિત 4 ફરાર છે.
ગત 17 મીના રોજ મહારાષ્ટ્રના નવાપુરમાં ટેલીફોન એક્સચેન્જ નજીક ડી.જે.અગ્રવાલ શાળા પાસે રોડ ઉપર સુરત પાસીંગની કારમાં પાછળની સીટ પરથી અજાણ્યા યુવાનની મોઢા પર ટેપ બાંધેલી અને તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઇજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળી આવી હતી.બાદમાં તેની ઓળખ સુરતના ભટાર ઘનશ્યામનગરમાં રહેતા ભાવેશ મહેતા તરીકે થઈ હતી. સુરતના લોકોની સામેલગીરીની શક્યતાના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેર ઝઘડીયા ચોકડી પાસેથી આકાશ અરવિંદભાઈ ઓડ અને આકાશ રમેશભાઇ જોરેવાલને ઝડપી લીધા હતા.
કુખ્યાત અનીલ કાઢીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો
પોલીસ તપાસમાં કુખ્યાત અનીલ કાઢીએ ભાવેશ મહેતા સાથે અંગત ઝગડાની અદાવતમાં હત્યાનો પ્લાન બનાવ્યો હતો. અનીલ કાઢીએ તેના સાગરીતો વિશાલ ઉર્ફે ભૈયા ચૌધરી, પિંકેશ ઉર્ફે ભુરો કિશોરભાઇ ચૌહાણ, સતીષ ઉર્ફે સત્યો અશોકસીંગ રાજપુત સઠેર મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ભાવેશ મહેતા નવાપુર ખાતે ગયો હતો અને ત્યાં તેની વોચ ગોઠવી હતી અને બાદમાં તેની હત્યા કરી લાશને સગેવગે કરતા લાશ કારમાં મૂકી ફરાર થઇ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
ઝડપાયેલો આકાશ ઓડ સુરતના પાંચ અને ઓલપાડ, સાપુતારા, વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં મારામારી, ખંડણી, લૂંટ, રાયોટીંગ અને દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો.જયારે આકાશ જોરેવાલ દારૂની હેરાફેરીના ગુનામાં રાંદેર પોલીસ મથકમાં ઝડપાયો હતો.