વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરસભામાં કહ્યું કે કેવી રીતે ભારતે પાણી પર લકીર ખેંચી છે, અર્થાત ભારતે રાવી નદીના પાણીને પાકિસ્તાન જતા રોકી ભારતના જ રાજ્યો તેનો ઉપયોગ કરી શકે તેવું ભગીરથ કાર્ય કર્યું છે. રાવી નદી પંજાબની પાંચ મોટી નદીઓમાંની એક નદી છે. સરકારના પ્રયાસ બાદ રાવીનું પાણી હવે સંપૂર્ણ ભારતમાં જ વાપરી શકાય છે. ભારતે પઠાણકોટ જિલ્લામાં શાહપુર કાંડી બેરેજ ડેમ બનાવીને રાવી નદીના પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. આ સાથે રાવીનું પાણી હવે માત્ર ભારતીય રાજ્યો પંજાબ અને જમ્મુ-કાશ્મીર માટે વધુ ઉપયોગી રહેશે. અને તેનો પાકિસ્તાન તરફ જતો પ્રવાહ સમાપ્ત થઈ જશે. આ ડેમનો સૌથી વધારે ફાયદો જમ્મુના કઠુઆ અને સાંબા જિલ્લાની 32,000 હેક્ટર જમીનને લાભ થશે.
પાકિસ્તાન નહી ઉઠાવી શકે વાંધો
ભારતે પંજાબની મોટી રાવી નદીનું પાણી પાકિસ્તાન જતા રોક્યું હોવા છતાં આ મામલે દુશ્મન દેશ કોઈપણ જાતનો વાંધો ઉઠાવી શકશે નહી. કારણ કે સિંધુ જળ કરાર હેઠળ, ભારતને બિયાસ, સતલજ અને રાવી નદીઓના પાણીનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો અધિકાર છે. આ કરાર વિશ્વ બેંકની દેખરેખ હેઠળ 1960માં બંને દેશો વચ્ચે થયો હતો. જ્યારે પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણીનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

પાકિસ્તાન સાથે મતભેદ
ભારત આઝાદ થયાના થોડા સમય બાદથી જમ્મુ-કાશ્મીર અને પંજાબને લઈને પાકિસ્તાન સાથે મતભેદો રહ્યા છે. લાંબા સમયથી ચાલતા આ મતભેદોના કારણે અનેક મામલે ગૂંચવણો પેદા થઈ છે. આ કારણોસર શાહપુર કાંડી બેરેજનું કામ અટકી ગયું હતું. જેના કારણે રાવીના પાણીનો મોટો હિસ્સો પાકિસ્તાન તરફ વહી ગયો હતો. 1979 માં, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરની સરકારો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં ઉપલા ક્ષેત્રમાં રણજીત સાગર ડેમ અને નીચલા પ્રદેશમાં શાહપુર કાંડી બેરેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવું એટલા માટે થયું જેથી પાણીના પ્રવાહને પાકિસ્તાન જતા અટકાવી શકાય.
લાંબા સમય સુધી અટવાયું કાર્ય
જમ્મુ અને કાશ્મીરના તત્કાલિન સીએમ શેખ અબ્દુલ્લા અને પંજાબના પ્રકાશ સિંહ બાદલની સરકાર વચ્ચે આ અંગે એક કરાર થયો હતો. આ પછી, તેનો શિલાન્યાસ 1982માં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ કર્યો હતો અને કામ 1998 સુધીમાં પૂર્ણ થવાનું હતું. પરંતુ બાદમાં આ કામ અટવાયું હતું અને હવે પૂર્ણ થઈ શક્યું છે. રણજીત સાગર ડેમ 2001માં જ બનાવવામાં આવ્યો હતો. પરંતુ શાહપુર કાંડી બેરેજ ન બનવાના કારણે રાવીના પાણીનો મોટો ભાગ પાકિસ્તાન તરફ વહી જતો હતો. ત્યારબાદ 2008માં શાહપુર કાંડી પ્રોજેક્ટને રાષ્ટ્રીય મહત્વનો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ કામ 2013માં જ શરૂ થઈ શક્યું હતું.
પીએમ મોદીનું વચન
જો કે, 2014 માં તેના પર ફરીથી કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2018માં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપથી જમ્મુ-કાશ્મીર અને પંજાબ વચ્ચે સમજૂતી થઈ અને ફરીથી કામ શરૂ થયું. હવે ડેમના નિર્માણથી પંજાબની સરહદે આવેલા જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને સાંબા જિલ્લાઓને ફાયદો થશે. આ સાથે જમ્મુ-કાશ્મીરને 1150 ક્યુસેક પાણી મળશે, જે 32 હજાર હેક્ટર જમીનને સિંચાઈ કરશે. એટલું જ નહીં આ ડેમમાંથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય છે. તમને જણાવી દઈએ કે 2016માં આ મુદ્દો ઉઠાવતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું હતું કે અમે વચન આપીએ છીએ કે ભારતના હિસ્સાનું પાણી તેના ઉપયોગ માટે જ વાપરવામાં આવે અને પાકિસ્તાનમાં ન જાય. રાવી નદીનું લગભગ 2 મિલિયન એકર ફૂટ જેટલું પાણી હજુ પણ માધોપુરની નીચે પાકિસ્તાનમાં ઉપયોગ વગર વહી રહ્યું હતું. હવે ભારત તેનો ઉપયોગ તેના ફાયદા માટે કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી
આ પણ વાંચો:
આ પણ વાંચો: Arvalli Crime/અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી
