વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરનાં કુલગામમાં ભારતીય જનતા પાર્ટીનાં ત્રણ નેતાઓની હત્યાની ટ્વીટ કરી અને નિંદા કરી છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે ભાજપનાં ત્રણ નેતાઓ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ભાજપ યુવા મોરચાનાં મહાસચિવ ફીદા હુસેન સહિત ત્રણ નેતાઓ માર્યા ગયા હતા. અન્ય બે લોકોની ઓળખ ભાજપનાં નેતા ઓમર રશીદ બેગ અને ઓમર રમઝાન હઝમ તરીકે થઈ છે. પોલીસે આ આતંકી હુમલા અંગે કેસ નોંધ્યો છે અને આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું હતું કે, હું અમારા ત્રણ યુવા કાર્યકરોની હત્યાની નિંદા કરું છું. તે જમ્મુ કાશ્મીરમાં સારુ કામ કરી રહ્યા હતા. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. તેમના આત્માને શાંતિ મળે. ”
I condemn the killing of 3 of our young Karyakartas. They were bright youngsters doing excellent work in J&K. My thoughts are with their families in this time of grief. May their souls rest in peace. https://t.co/uSfsUP3n3W
— Narendra Modi (@narendramodi) October 29, 2020
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ભાજપ નેતાઓની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, દક્ષિણ કાશ્મીરનાં કુલગામ જિલ્લામાંથી ભયાનક સમાચાર બહાર આવ્યા છે. આતંકી હુમલામાં ભાજપનાં 3 કાર્યકરોની હત્યાની હું નિંદા કરું છું. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને શક્તિ આપે.
બીજી તરફ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હિંસાનાં ગુનેગારો માનવતાનાં દુશ્મન છે અને આવા કાયર કૃત્યો ક્યારેય ન્યાયી ઠરાવી શકાતા નથી. હું સરકાર તરફથી શોકગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપું છું.
