રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે બે રાઉન્ડની મંત્રણા થઈ હતી પરંતુ કંઈ હાંસલ થઈ શક્યું નથી. આજે બંને દેશો વચ્ચે શાંતિ પ્રયાસોને લઈને ત્રીજા રાઉન્ડની બેઠક થશે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે.
રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. આ હુમલામાં અત્યાર સુધી યુક્રેનના ઘણા શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે, સાથે જ સેંકડો લોકોના જીવ પણ ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ રશિયા સામે હાર માનવા તૈયાર નથી. રશિયા-યુક્રેન વચ્ચેના આ વધતા તણાવને જોતા હવે ઈઝરાયલ, ફ્રાન્સ અને તુર્કી ડીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. , રશિયા અને યુક્રેન આજે ત્રીજા રાઉન્ડની વાતચીત માટે સામસામે બેસશે. આ પહેલા થયેલી બે રાઉન્ડની વાટાઘાટોનું કોઈ પરિણામ આવ્યું નથી.
ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે કહ્યું છે કે તેમનો દેશ યુક્રેનને કટોકટીનો રાજદ્વારી ઉકેલ શોધવામાં મદદ કરવાનું ચાલુ રાખશે, તેમ છતાં તેના પ્રયાસો સફળ થવાની સંભાવના નથી. બેનેટે રવિવારે તેમની કેબિનેટની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની ઓચિંતી બેઠકમાંથી પરત ફર્યાના કલાકો બાદ તેમણે કેબિનેટની બેઠક યોજી હતી. તે જ સમયે, પુતિને ફરી એકવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી. ફ્રાન્સે કહ્યું હતું કે તેમની વાતચીતમાં પ્રોત્સાહક કંઈ નથી. દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને યુક્રેનમાં તાત્કાલિક સામાન્ય યુદ્ધવિરામની હાકલ કરી હતી. તેમણે રવિવારે ટેલિફોન દ્વારા રશિયન નેતા વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.