Vadodara News : વડાપ્રધાન નરેન્દ્ર મદી આવતીકાલે વડોદરાની મુલાકાત લેવાના છે. જેને લઈને રેલીનું આયોજન કરાયું હોવાથી રિહર્સલ યોજાયું હતું. જેમાં જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી આબેહૂબ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સાંસ્કૃતિક પરંપરાગત સ્વાગતને લઈ વડોદરાના જૂના એરપોર્ટ પર રિહર્સલ યોજવામાં આવ્યુ હતું . આ રિહર્સલમાં વિશેષ સુરક્ષા અને ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. રેલીના રૂટ પર ઠેર-ઠેર ઓપરેશન સિંદૂર અને સેનાના જવાનો સાથે બ્રહ્મોસ મિસાઈલનું કટઆઉટ પણ એરપોર્ટ સર્કલ પાસે મૂકવામાં આવ્યું છે. આ સાથે સિંદૂર ભરેલ ઘડો પણ મૂકવામાં આવ્યો છે.આવતીકાલે વડાપ્રધાન સવારે 9:30 વાગ્યે હરણી એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે.
આ રોડ શોમાં શહેર અને જિલ્લાની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે. આજે યોજાયેલ રિહર્સલમાં 40થી વધુ ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો. રિહર્સલ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.રિહર્સલ દરમ્યાન વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ બંદોબસ્ત અને સુરક્ષા જોવા મળી હતી. સમગ્ર રૂટ પર બે લેયરમાં અને અન્ય સામેના માર્ગ પર એક લેયરમાં બેરીકેટીંગ જોવા મળ્યું હતું. આ સાથે આ રિહર્સલ જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 15 મિનિટમાં યોજાયું હતું.
PMના રોડ શોને લઈને વડોદરા પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે વિશેષ તૈયારીઓ કરી છે. 7 DCP, 15 ACP, 70 PI સહિત 2000થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. SPG, NSG અને ચેતક કમાન્ડોની ટીમો પણ સુરક્ષામાં જોડાશે. વડોદરામાં નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરમાં 24 કલાક દરમિયાન ડ્રોન કેમેરા ઉડાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. આજે પણ રિહર્સલ દરમ્યાન સુરક્ષા અને વ્યવસ્થાને લઈ કાળજી લેવામાં આવ્યો હતો.
વડાપ્રધાનના ભવ્ય સ્વાગત અને અભિવાદન માટે વડોદરા શહેર સંપૂર્ણપણે તૈયાર છે. વડોદરા એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિવિધ બેન્ડની ધૂન થકી રોમાંચક અને જાંબાજ રીતે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એરપોર્ટ પ્રિમાઈસીસ એટલે કે ટાર્માક એરિયાની બહારના ભાગે વિશ્વ પ્રસિદ્ધ નાસિક બેન્ડની સાથે સાથે NCC, NSS, SRP, પોલીસ બેન્ડ, વીએમસી બેન્ડ, નાગરિક સંરક્ષણ દળ સહિતના બેન્ડથી ભવ્યતા, સાંસ્કૃતિક ઝલક અને રાષ્ટ્રીય ગૌરવનો આ ત્રિવેણી સંગમ વાતાવરણને ઉર્જાવાન બનાવી દેશે. દેશભક્તિની પ્રચંડ ધૂન અને મધુર સંગીત અનેરા ઉત્સાહનો સંચાર કરશે.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાફલો રોડ શો સ્વરૂપે એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી જશે. રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના હોર્ડિગ્ઝ સાથે વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. તદુપરાંત દેશભક્તિની થીમ પર વિવિધ ઝાંખીઓ જોવા મળશે. રાફેલ ફાઈટર, બ્રહ્મોસ મિસાઈલ, જેટ સહિતના ભારતીય સેના શસ્ત્રો સહિતની પ્રતિકૃતિઓ પ્રજાજનોને ગૌરવાન્તિત કરી દેશભક્તિનો રંગ રેલાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
ત્યારે 27મી મેના રોજ ગાંધીનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. જેને પગલે આજે ગાંધીનગરમાં PM મોદીના રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ રિહર્સલમાં હાજર રહ્યા હતા. ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાશે. ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં આ રોડ શો યોજાશે.
આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો
આ પણ વાંચો:નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ
