વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે, આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક પ્રોજેકટોના ખાર્તમુહુર્ત કરશે,આ પ્રવાસ ગુજરાત માટે યાદગાર સાબિત થશે,આના પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણીની તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલાં આજે પીએમ મોદીના ત્રણ દિવસના પ્રવાસનું સૂચક મહત્વ છે. ત્રણ દિવસના આ પ્રવાસમાં વડાપ્રધાન મોદી પોતાના વતનમા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને 23,000 કરોડના પ્રોજેક્ટોનું ખાતમુહુર્ત કરશે. PMOએ આપેલ માહિતી અનુસાર વડાપ્રધાન મોદી 18 એપ્રિલે ગાંધીનગરમાં શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેને હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કહેવાશે તેની મુલાકાત લેશે અને બીજા દિવસે રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્રવાસના બીજા દિવસે તેઓ જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ, તેઓ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે અને બાદમાં દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં હાજરી આપશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આદિજાતિ મહા સંમેલનમાં બે લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે
બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. બનાસકાંઠામાં નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રૂ. 600 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરે છે. તે દરરોજ લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને છ ટન ચોકલેટનું ઉત્પાદન કરશે.
આ સિવાય મોદી બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ શરૂ કરશે. આ સ્ટેશનની સ્થાપના ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્ત્વની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે રેડિયો સ્ટેશન લગભગ 1700 ગામોના પાંચ લાખથી વધુ ખેડૂતો સાથે જોડાશે. પીએમ મોદીના આ ત્રણ દિવસના પ્રવાસ સાથે ભાજપ તરફથી આ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો શંખનાદ હશે.