જો કે ગુજરાત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત આપવાનું ગૌરવ લઇ શકે તેમ છે
વિશ્વ મહિલા દિનની ઉજવણીને અનુલક્ષીને દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે વિવિધ સંગઠનો દ્વારા વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બજાવી રહેલ નારી શક્તિનું સન્માન કરાયું. ભૂતકાળમાં વિવિધ હોદ્દાઓ અને પોતપોતાના ક્ષેત્રમાં ઝળકનાર નારી રત્નોને યાદ કરાયા. આ ઉપરાંત તેની સાથે બીજી ઘણી બધી વાતો થઇ. મહિલાઓ પર થતાં અત્યાચારો, દુષ્કર્મ, ઘરેલું હિંસા, શોષણ સહિતના અનેક પ્રકારના મુદ્દાઓ ચર્ચાયા. ઝાંસીની રાણી, માતા જીજાબાઇ સહિત દેશની બહાદુર નારીઓને યાદ કરાઇ. રાજકારણીઓએ આ દિવસે પોતાની ભાષામાં વાત કરી તો સામાજિક કાર્યકરોએ પોતાની સ્ટાઇલમાં આ દિવસે વાતો કરી, ઘણા લેખકો અને લેખિકાઓએ મહિલા સશક્તિકરણની ઝાંખી કરાવતા લેખો લખ્યા તે વિવિધ અખબારોમાં છવાયા પણ ખરા પરંતુ આ બધા વચ્ચે મહિલાઓને સંસદ અને વિધાનસભામાં અનામત બેઠકો આપવાની ઘણા લાંબા સમયથી જે વાત થાય છે તે સાવ ભુલાઇ ગઇ હોય કે ભુલાવી દેવામાં આવી હોય તેમ કોઇએ આ મુદ્દો યાદ ન કર્યો.
છેલ્લા 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના હાલના રાષ્ટ્રીય અઘ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આ પ્રશ્ને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી લોકસભા વિધાનસભા સહિતના ધારાગૃહમાં મહિલાઓને અનામત બેઠકો આપવાની માંગણી કરી હતી. 2012 આસપાસના સમયગાળામાં આ પ્રશ્ન ગાજ્યો હતો. દિલ્હીમાં લોકસભા અને રાજયસભામાં બિરાજતા તમામ મહિલા સાંસદોએ પક્ષીય ભેદભાવ ભુલીને આ પ્રશ્નને સંસદ બહાર સુત્રોચ્ચારો કર્યા હતાં. જેમાં તે વખતના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતાં. જેમાં શ્રીમતી સોનિયા ગાંધી ઉપરાંત મહિલા સાંસદો સુમિત્રા મહાજન (પુર્વ સ્પીકર), સુષ્મા સ્વરાજ (પુર્વ વિદેશમંત્રી) રેણુકા ચૌધરી, ગીતા મુખરજી, અંબિકા સોની સહિત અનેક મહિલા નેતાઓએ ભાગ લીધો હતો.
મહિલાઓને અનામત બેઠકો આપવાની સૌપ્રથમ વાત 1985 માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ કરી હતી. પરંતુ 18 વર્ષના યુવાનોને મતાધિકાર, પક્ષાંતર વિરોધી કાયદો (ભલે ખામીઓ વાળો હોય) અને આધુનિક ટેકનોલોજી કે જેની તાકાત પર હાલની સરકાર મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ કે ડીજીટલ ઇન્ઠિ0ડયાના વધુ પગલાં ભરી રહી છે. તેવા અનેક સુધારા કર્યા પરંતુ તેઓ મહિલા અનામતની દિશામાં આગળ ન વધી શકયા. 1998માં અટલજીની આગેવાની હેઠળ એનડીએની સરકાર હતી ત્યારે આ પ્રશ્ર્ન ચર્ચાનો મુદ્દો બન્યો હતો. 2004 બાદ મનોમહનસિંહની સરકાર સત્તા પર આવી ત્યારે પણ મહિલા અનામત અંગે ખરડો તૈયાર કરાયો હતો. ભાજપ અને કોંગ્રેસના સાંસદો તો આમા સર્વ સંમત હતાં. સપા, બસપા અને લોકજનશક્તિ પાર્ટી, રાજદ, બસપા વિગેરે પક્ષોએ તેમાં લઘુમતી વર્ગની મહિલાઓ માટે અનામત બેઠકો રાખવાની જોગવાઇ સહિતના અન્ય કેટલાક સુધારા સુચવ્યા હતા. તેના કારણે વાત અટકી ગઇ. કારણ કે ખરડાના અટલજીની સરકારના પ્રયાસ વખતે તેમના ગઠબંધન એનડીએના સાથીઓ અને બીજા પ્રયાસ વખતે મનમોહનસિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારના શાસનકાળ સમયે આજ મુદ્દો ચગ્યો હતો. પણ યુપીએના સાથી પક્ષોએ સુધારા સુચવતા આ વાત અટકી ગઇ હતી.
જો કે રાજીવ ગાંધીના સુચન બાદ પી.વી.નરસિંહ રાવ કેન્દ્રમાં સત્તા સ્થાને હતા તે વખતે કેટલાક રાજયોમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં 33 ટકા મહિલા અનામતની જોગવાઇઓ માટે સીમાંકન થયું હતું. આપણા ગુજરાતમાં જ 1993 બાદ જે વોર્ડ સીમાંકન થયું તેમાં 33 ટકા મહિલા અનામતની જોગવાઇ થઇ હતી. નગરોના દરેક વોર્ડની ત્રણ બેઠકમાં એક મહિલા અનામત બેઠક હતી. જો કે પ્રથમ ચૂંટણી કેશુભાઇ પટેલની આગેવાની હેઠળની ભાજપની પ્રથમ સરકાર રચાઇ તે વખતે તેનો અમલ થયો હતો. અને 1995ની મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઇ હતી. જિલ્લા તાલુકા અને ગ્રામપંચાયત સ્તર સુધી મહિલા અનામત બેઠકો દાખલ કરનાર ગુજરાત પ્રથમ રાજય હતું. આ બાબતની નોંધ તો લેવી જ પડે.
2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને તેમના અનુગામી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલ રાજયના મુખ્યમંત્રી બન્યા તેવે સમયે તેમના સમયગાળામાં સ્થાનિક સ્વરાજયની તમામ સંસ્થાઓમાં પ0 ટકા મહિલા અનામતનું ક્રાંતિકારી પગલું ભરાયું નવા વોર્ડ સીમાંકન સાથે મહાનગરો અને નગરોમાં દરેક વોર્ડની ચાર બેઠોક અને તે પૈકી બેદ બેઠકો પર મહિલા અનામત બેઠકોની જોગવાઇ થઇ. આમ મહિલાઓ માટે અનામત બેઠકો બેઠકોનો વધુ કવોટા ફાળવનાર પ્રથમ રાજય હોવાનું ગૌરવ ગુજરાત લઇ શકે તેમ છે.
તાજેતરમાં પશ્ર્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારના પ્રારંભમાં યોજાયેલી ભાજપની જાહેરસભામાં કેન્દ્રના ગુજરાતી ગૃહપ્રધાન અમિત શાહે સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત કવોટાની વાત કરી જો કે આ અંગે આ લખાય છે ત્યાં સુધી કોઇ રાજપુરૂષે તેનો વિરોધ તો નથી કર્યો પરંતુ આવકાર પણ નથી આપ્યો. તેમજ અત્યારે 70 ટકા રાજયોમાં ભાજપનું શાસન છે. તેવે સમયે કોઇ રાજયમાં સરકારી નોકરીમાં મહિલા અનામતની અમિત શાહની વાતને ટેકો પણ કોઇએ આપ્યો નથી. આ વાતમાં સુર પણ પુરાવ્યો નથી. તો પછી તેના અમલની વાત તો બાજુએ રહી જાય છે. રાજકારણીઓ બાબતમાં લોકોમાં એવી છાપ રહી ગઇ છે. કે તેઓ જેવી વાત કરે છે તેવું કામ કરતો નથી. કાળુનાણુ ભાવ વધારો સહિતના મુદ્દાઓના વચન કોંગ્રેસે પાળ્યા નથી તેમ ભાજપે પણ પાળ્યા નથી. તેથી જ તો આ પ્રશ્ર્નો હજી અણઉકેલ કોયડા જેવા છે. આવા પ્રશ્નો કરતાં મહિલા અનામત અલગ મુદ્દો છે. 2014 માં ભાજપના 282 અને કોંગ્રેસના 44 સભ્યો લોકસભામાં હતા બન્નેનો સરવાળો માઁડો તો 326 થાય. બીજુ જનતાદળ, ટીએમસી વિગેરે આ પ્રશ્ર્ને સાથે જ છે છતાં ખરડો મુકાયો પણ નહિ. જયારે હાલ લોકસભામાં ભાજપના 303 સહિત એનડીએના 357 સભ્યો છે. શીવસેના કે અકાલીદળ જેવા પુર્વ સાથીઓ મહિલા અનામતનો વિરોધ કરી શકે તેમ નથી. તો કોંગ્રેસના પર સાંસદો પણ આ બાબતમાં જરાય પાછા પડે તેમ નથી. આ સંજોગોમાં જો મોદી સરકાર અન્ય કેટલાક નિર્ણ્યો લેવામાં જે 56 ની છાત બતાવી તેવી જ 56ની છાતી મહિલા અનામત અંગે નિર્ણય લેવામાં બતાવે તો આ ખરડો સેટલાઇટથી પસાર થઇ શકે તેમ છે. જો કે અત્યાર સુધી બન્યું છે તેમ રાજકારણીઓ ચૂંટણી વખતે મહિલા અનામત યાદ કરે છે. પછી ભુલી જાય છે. જો કે લોકોને સીધી કે આડકતરી રીતે સ્પર્શતા પ્રશ્ર્નોમાં આવુ જ છે. કોલકત્તા મેગા રેલીમાં નરેન્દ્ર મોદીએ મહિલા દિનના અગાઉના દિવસે જ મહિલા મુખ્યમંત્રી મમતા દીદી માટે જે શબ્દ પ્રયોગો કર્યા. તેને મોટાભાગના રાજકીય નિષ્ણાંતોએ ટીકા કરી છે. ખાસ કરીને આવા શબ્ધ્ પ્રયોગો એક રાજકીય પક્ષના સ્ટાર પ્રચારક તરીકે બરાબર કહી શકાય પણ દેશના વડાપ્રધાન પદના હોદ્દાની ગરિમા જાળવનારા તો હરગીઝ નથી તે વાત આપણા રાજપુરૂષો (સોરી રાજકારણીઓ) સમજવી પડશે.
હવે જે રાજકારણીઓ પોતાનું ચક્રવર્તી સમ્રાટ જેવું શાસન છે અને બીજો પણ ટેકો છે. ત્યારે સંસદ વિધાનસભા અને જયાં હોય ત્યાં વિધાન પરિષદોમાં આવા ખરડા લાવી શકતા નથી તેવા રાજકારણીઓ પાસે સરકારી નોકરીમાં મહિલા અનામતની વાતનો અર્થ નથી. જે રાજકારણીઓ પોતાની સબળ મહિલા નેતાને લોકસભા, વિધાનસભાની ટિકિટો પણ મર્યિદિત પ્રમાણમાં આપવાની મનોવૃત્તિ ધરાવતા હોય તેમની પાસે બીજા તો શું આશા રાખી શકાય આના માટે ભાજપ કોંગ્રેસ સહિતના તમામ પક્ષો જવાબદાર છે. સંસદમાં રાજયોની વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યા કેટલી છે ? તેનો આંકડો ઘણો ઓછો છે. પુરી દસ ટકા મહિલાઓને પણ વિધાનગૃહોમાં પુરતુ પ્રતિનિધિત્વ મળતું નથી. આ મુદ્દો માત્ર ચૂંટણી પુરતો મર્યિદિત ન બની રહેવો જોઇએ. વાસ્તવિકતા બની રહે તે જરી છે.
@હિંમતભાઈ ઠક્કર ભાવનગર