રાજકોટ: પક્ષની નીતિથી નારાજ એવા ધંધુકાના પૂર્વ MLA લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય લાલજી મેર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ રાજકારણ માટે વેર વિગ્રહ કરાવી રહ્યું છે. લાલજી મેરે આ ઉપરાંત પક્ષ અને સરકારમાં કોઈ કામો થતાં ન હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહિ, પક્ષના અનેક ધારાસભ્યો નારાજ હોવાનું પણ જણાવ્યું હતું.
ભાજપમાંથી રાજીનામું આપનાર ધંધુકાના પૂર્વ MLA (ધારાસભ્ય) કોળી સમાજમાંથી આવે છે અને તેઓ તેમના સમાજના આગેવાન છે. લાલજી મેરના પક્ષ છોડીને જવાથી ભાજપને જસદણ પેટા ચૂંટણીમાં ફટકો પડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ભાજપમાંથી રાજીનામું આપનાર લાલજી મેર કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના હોવાની વાતો ચર્ચાઈ રહી છે.

પક્ષમાંથી પૂર્વ MLA લાલજી મેરે રાજીનામું આપી દેતા અમદાવાદ જિલ્લા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય છે. 2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અનેક નામો ચર્ચામાં હોવા છતાં પક્ષ દ્વારા તે નામોને સાઈડ લાઈન કરીને લાલજી મેરને ધંધુકા વિધાનસભા બેઠક પરથી ટિકિટ ફાળવી હતી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. જો કે ગત વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ દ્વારા તેમને પુન: ટિકિટ આપવામાં આવી ન હતી. તેમના સ્થાને બગોદરાના કાળુભાઈ ડાભીને ભાજપે ટિકિટ આપી હતી. જો કે, તેમનો પરાજય થયો હતો અને કોંગ્રેસના રાજેશ ગોહિલ વિજયી બન્યા હતા.
લાલજી મેર ભાજપની સાથે ઘણા સમયથી જોડાયેલા હતા. જેઓ ભાજપના સક્રિય કાર્યકર્તા હતા. લાલજી મેરના રાજીનામાથી ભાજપને ફટકો પડી શકે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ ઉમેદવાર માટેના મુખ્ય દાવેદાર હતા, પણ તેમને ટિકિટ મળી ન હતી. આ માટે પક્ષ દ્વારા તેમને એન્ટિ ઇન્કમ્બસીના કારણે ટિકિટ આપવામાં ન આવી હોવાનું કારણ જવાબદાર જણાવાતું હતું.
લાલજી મેરે રાજીનામું આપ્યા બાદ મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે, તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે.
ભાજપ સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો
જો કે બીજી તરફ, લાલજી મેરે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે ભાજપની સરકાર સામે આડકતરી રીતે સવાલો ઉઠાવ્યા હતા. લાલજી મેરે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો માટે કામ કરવાની વાત કરે છે પણ હકીકતમાં તેમની સ્થિતિ સારી નથી. ખેડૂતો પાક બચાવવા પાણી માટે ટળવળે છે. ગુજરાતમાં બહુચર્ચિત એવો મગફળીકાંડ સર્જાયો છે. ખેડૂતોની મગફળી બજારમાં વેચાતી નથી.
વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ આવતું નથી: લાલજી મેર
લાલજી મેરે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં ખેડૂતો માટે રજૂઆતો કરવામાં આવી છે. ધારાસભ્ય તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે 52 સંકલન મિટિંગમાં ખેડૂતોના પ્રશ્નો માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા તેમનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સામે કર્યા આક્ષેપો
મીડિયા સાથેની વાતચીતમાં લાલજી મેર દ્વારા ભાજપના પ્રદેશ પ્રવક્તા અને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સામે પોતાને હરાવવા માટે કામગીરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. લાલજી મેરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે વર્ષ ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી લડ્યો હતો. પરંતુ તે સમયે પક્ષના વર્તમાન પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જેના કારણે હું ૪૪૦૦ મતોથી હાર્યો હતો. આ મામલે મે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી vijay રૂપાણીને રજૂઆતો કરી હતી.
પક્ષ અને સરકારમાં કોઈ કામ ન થતાં હોવાનો આક્ષેપ
પક્ષમાં અને સરકારમાં કોઈ કામ થતાં ન થતાં હોવાનો લાલજી મેરે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નો હોય કે જમીન મોજણીના પશ્નો હોય. આ મામલે સરકાર અને પક્ષમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં ખેડૂતોના પ્રશ્નોનો કોઈ જ નિકાલ આવતો નથી.
ખેડૂતોના અનેક પ્રશ્નોનો નિકાલ આવતો નથી
લાલજી મેરે જણાવ્યું હતું કે, ખેડૂતોને લગતાં અનેક પ્રશ્નો જેવા કે, પાણી, સિંચાઈ, પ્રીમિયમના પૈસા, મોજણીના પ્રશ્નો જેવા અનેક પ્રશ્નો છે. તે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધોલેરાના ખેડૂતોના પણ અનેક પ્રશ્નો છે, ખેડૂતો પાસે પ્રીમિયમના પૈસા નથી. આવા અનેક મુદ્દાઓ છે પણ તે અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
પક્ષમાં અનેક ધારાસભ્યો નારાજ છે
લાલજી મેરે જણાવ્યું હતું કે, પક્ષમાં અનેક ધારાસભ્યો પક્ષની આવી નિતી રીતિથી ભારે નારાજ છે. પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો અને પક્ષમાં કે સરકારમાં કોઈ કામો થતાં નથી. કેબિનેટમાં પણ ધારાસભ્યોના પ્રશ્નો અંગે નિર્ણય લેવાતા નથી. જેનાથી ધારાસભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તા, 20 ડિસેમ્બરે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. આ વિધાનસભા બેઠક વિસ્તારમાં કોળી મતદારોનું વર્ચસ્વ રહેલું છે. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયા ચૂંટણી લડી રહ્યા છે. આ સંજોગોમાં કોળી નેતા એવા લાલજી મેરના ભાજપમાંથી રાજીનામાના કારણે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે.
