અમદાવાદઃ પોપ્યુલર બિલ્ડર્સના અનપોપ્યુલર માલિક રમણ પટેલને જામીન મળી ગયા છે. આના પગલે હવે તેઓ ત્રણ વર્ષ જેલમાં વીતાવ્યા બાદ મુક્ત થશે. મુખ્ય ન્યાયાધીશ ડી એમ વ્યાસે તેમને ગોધાવીમાં પ્લોટ પર બનાવટી દસ્તાવેજોના આધારે કથિત ગેરકાયદે કબ્જાના કેસના આરોપમાં તાજેતરમાં જામીન આપ્યા છે.
પટેલ સામે રામકૃષ્ણ આચાર્યની ફરિયાદના આધારે બોપલ પોલીસે ગુનો નોંધ્યો હતો. પટેલ બંધુઓ પર સરયુદાસજી બાવા સાથે મળીને આચાર્યના દાદાના નામે જમીનના સોદા માટે કાગળો બનાવવાનો અને લગભગ 63 હજારથી વધારે ચો.મી.ના પ્લોટ પર ગેરકાયદે કબ્જાનો આરોપ હતો. રમણ પટેલને હાલમાં જે કેસમાં જામીન મળ્યા તે કેસ તેમની સામે બોપલ પોલીસે નવેમ્બર 2022માં નોંધ્યો હતો.
રમણ પટેલને જામીન પર મુક્ત કરાશે, પરંતુ છેતરપિંડીના અન્ય કેસમાં સુપ્રીમ કોર્ટે લાદેલી જામીનની શરતોનું પાલન કરવા માટે તેમણે ગુજરાત છોડવું પડશે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેમને ગુજરાતમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો. પટેલને તેમના મોબાઇલ જીપીએસ ઉપકરણ સક્રિય રાખીને તેઓ કયા ચોક્કસ સ્થાને છે તેની જાણકારી રાખવા પણ ગુજરાત પોલીસને આદેશ આપ્યો હતો. તેમને વસ્ત્રાપુર અને સોલા એમ બંને પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહેવાની પણ સૂચના આપવામાં આવી હતી.
રમણ પટેલ અને તેમનો ભાઈ દશરથ પટેલ 2005ના સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇના સાક્ષી હતા. ઓગસ્ટ 2020માં તેમની પૂત્રવધુએ તેમના પર હત્યાનો પ્રયત્ન અને ઘરેલું હિંસાનો આરોપ લગાવતા તે જેલમાં હતા. તેના પછી તેમના પર એક પછી એક જૂના કેસો પણ ખૂલતા ગયા, જેમા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કથિત રીતે જમીન પર કબ્જો કરવા બદલ તેમની સામે અલગ-અલગ કેસો દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ