અમદાવાદ,
ડો.પ્રવિણ તોગડીયાને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ તેઓ ભારે નારાજ જોવા મળી રહ્યાં છે.ડો. પ્રવીણ તોગડિયા આવતીકાલે એટલે કે મંગળવારે અમદાવાદમાં જાણીતા વણીકર ભવન ખાતે ઉપવાસ થશે. અગાઉ પ્રવીણ તોગડિયા સાબરમતી આશ્રમ પાસે આવેલાં બત્રીસી હોલ ખાતે ઉપવાસ કરવાની માહિતી સામે આવી હતી,એ પછી જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપવાસ નું સ્થળ નક્કી કરાયુ હતું..જો કે હવે અચાનક ઉપવાસનું સ્થળ બદલાતા અનેક તર્ક વિતર્ક ચાલુ થયાં છે.
પ્રવીણ તોગડિયાનું ઉપવાસનું સ્થળ બદલાતા પોલિસ પરવાની અંગે પણ સવાલો ઉભા થયાં છે.સોમવારે મોડી સાંજ સુધી જીએમડીસી મેદાન પર ઉપવાસ કરવા માટે પ્રવીણ તોગડિયાને પોલિસ પરમીશન નહોતી મળી.જો કે વીએચપીના રાજુ પટેલના કહેવા પ્રમાણે પ્રવીણ તોગડિયા ઉપવાસ કરતાં મક્કમ છે.
સોમવારે પ્રવીણ તોગડિયાને મળવા માટે આરએસએસના ચિંતન ઉપાધ્યાય સહિતના નેતાઓ મળવા ગયા હતા અને તેમને મનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
બીજી તરફ વીએચપીના અનેક હોદ્દેદારો રાજીનામાં ધરી રહ્યાં છે.વીએચપીના પ્રદેશ પ્રમુખ રણછોડ ભરવાડ સહિત લગભગ 6000 જેટલા કાર્યકરોએ પ્રવીણ તોગડિયાના ટેકામાં રાજીનામા ધર્યા હોવાનો દાવો થઇ રહ્યો છે.
ડો.પ્રવીણ તોગડીયાનુ કહેવુ છે કે, કરોડો હિન્દુઓ, ખેડૂતો, યુવાનો અને મજુરોનો અવાજ રજુ કરવા માટે આ ઉપવાસ આંદોલન કરશે. તોગડીયાએ એ પણ જણાવ્યુ હતું કે મારા ઉપવાસ કોઈ સરકાર કે સંસ્થા વિરુદ્ધ નથી, માત્ર લોકોના હિત માટે જ છે.
ડો.પ્રવીણ તોગડિયાએ જણાવ્યુ કે, ૨૦૧૪ની ચુંટણીમાં ભાજપે હિન્દુઓના નામે મત મેળવીને હિન્દુઓ સાથે છેતરપીંડી કરી છે, જેથી લોકોનો અવાજ રજુ કરવા ઉપવાસ કરીશ. આ ઉપરાંત પ્રવિણ તોગડીયાએ આગામી સમયમાં નવી હિન્દુ સંસ્થા શરુ કરવાના પણ સંકેતો આપ્યા છે. તોગડીયાએ જણાવ્યુ હતું કે સત્તામાં નશામાં લોકોનો અવાજ અત્યારે દબાવવામાં આવે છે, પરંતુ કરોડો કાર્યકર્તાઓ મારી સાથે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ પોતાના વચનનુ પાલન કરે તે માટે હું સત્યાગ્રહ કરવાનો છું.
પ્રવીણ તોગડિયે આમરણાંત ઉપવાસની જાહેરાત પછી સિક્યોરીટીના સવાલો પણ ઉભા થયાં છે.ડાયાબીટીસ અને બીપીના પેશન્ટ એવા તોગડિયા માટે ઉપવાસના સ્થળે એમ્બ્યુલન્સ પણ હાજર રાખવામાં આવશે.એવું માનવામાં આવે છે કે પ્રવીણ તોગડિયાને મળવા માટે અનેક સાધુ સંતો પણ ઉપવાસ સ્થળે પહોંચશે.