ઉદ્ઘાટન/ PM મોદીના હસ્તે થશે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

14 ડિસેમ્બરે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પાવન નિશ્રામાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન સમારંભ છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે.

Top Stories Ahmedabad Gujarat
પ્રમુખસ્વામી

અમદાવાદમાં નિર્મિત પ્રમુખસ્વામી નગરમાં 30 દિવસ સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં  માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તારીખ 14 ડિસેમ્બરના રોજ સાંજે ૫.૦૦ કલાકે થશે. આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભારતનાં અનેક પ્રાંતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહેશે.

આજે જયારે સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લાખોની સંખ્યામાં ભકતો ઉમટી રહ્યા છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રીએ પણ અનેક વાર ફોન અને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તદુપરાંત પ્રમુખસ્વામી મહારાજના આ મહોત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સ્વામીશ્રીને આદરાંજલિ અર્પણ કરશે.

BAPS સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં માનનીય નરેન્દ્રભાઈ ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

IMG 20221204 WA0007 PM મોદીના હસ્તે થશે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને BAPS સંસ્થાનાં સેવાકાર્યો વિશેના ઉદ્દગારો:

2017, ગાંધીનગર અક્ષરધામ રજત જયંતી મહોત્સવ પ્રસંગે:

“અક્ષરધામ એક એવી પરંપરા છે કે એના એક કેસ સ્ટડી તરીકે દુનિયાની યુનિવર્સીટીઓને નિમંત્રિત કરવી જોઈએ કે ભારતમાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેક્નોલોજીનો કેવો અદ્ભુત સુયોગ છે! …અને સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થયું છે! આજે હું એવું કહી શકું કે હિન્દુસ્તાનમાં સંતપરંપરા માટે આટલા કઠોર નિયમો અને જ્ઞાનના અધિષ્ઠાન પર ભક્તિ! ભક્તિમાં પણ તર્કના તરાજૂએ તોળાયેલી વ્યવસ્થા! …હું સારંગપુરમાં બાપાએ શરુ કરેલો આખો સિલેબસ જોવા ગયો હતો. કેવી રીતે સંતોની ટ્રેનિંગ થાય છે એ બધું જોયું હતું.”

2016, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દેહત્યાગ સમયે સ્વાતંત્ર્ય દિને સારંગપુર પહોંચીને ગદગદ કંઠે અર્પેલી ભાવાંજલિ,

” કેટલા બધા વર્ષોનો નાતો!  જયારે જાહેર જીવનમાં મારી કોઈ જ ઓળખાણ-પિછાણ નહોતી,…ત્યારથી લઈને એક સંતાનને જેમ પાલવે, પોષે, મઠારે એવો પિતૃતુલ્ય લાભ મને પ્રમુખસ્વામીજી પાસેથી મળ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની વિદાયથી મેં તો પિતા ગુમાવ્યા છે…

પ્રમુખસ્વામી મહારાજ આપણા માટે ગુરુ તરીકે જેમ ઉત્તમ પથદર્શક રહ્યા છે, એમ એ શિષ્ય તરીકે ઉત્તમ શિષ્ય પુરવાર થયા છે. અને એક ઉત્તમ શિષ્ય તરીકે યોગીજી મહારાજની એ ઈચ્છા યમુનાને કિનારે અક્ષરધામ બનાવીને પૂરી કરી.

IMG 20221204 WA0006 PM મોદીના હસ્તે થશે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

1992 માં શ્રીનગરના લાલચોકમાં હું તિરંગો ઝંડો ફરકાવવા ગયો. હજી તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો અને મને બે ટેલીફોન મળ્યા. પહેલો ફોન હતો પ્રમુખસ્વામીજીનો ! બીજો ફોન મારી માતાનો!

આવી વિભૂતિ, એક યુગપુરુષ, ઉત્તમ સંતકોટિની મહાન પરંપરાના નિયંતા અને આગળ આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ આજે વિદાય થયું છે. પરંતુ પ્રમુખસ્વામીજી સ્વધામમાં હોય તોપણ એમનાં આચાર-વિચાર, ત્યાગ, તપશ્ચર્યા, જીવન, સંયમ, નૈતિકતા આ સઘળું આપણા શ્વાસેશ્વાસમાં હરપળ રહેશે.”

જાન્યુઆરી 2013, BAPS યુવાપ્રવૃત્તિ ષષ્ઠીપૂર્તિ મહોત્સવ પ્રસંગે,

“આપણે જેમના નિરંતર આશીર્વાદની અનુભૂતિ કરીએ છીએ, જેમને માટે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વચ્ચે કોઈ ભેદ નથી તેવા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં હું પ્રણામ કરું છું. આજના યુગમાં પણ આ ધરતી પર એક આવી દિવ્ય શક્તિ વસી રહી છે. જેના લીધે વિશ્વ માનવ-કલ્યાણ માટે એક આશાની અનુભૂતિ કરતું હશે.”

જાન્યુઆરી 2005, સુરતમાં હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે,

“હોસ્પિટલો તો ઘણી હોય છે, સારી પણ હોય છે, આધુનિક પણ હોય છે, પરંતુ બીજી હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં થોડોક ફરક છે. આરોગ્ય ક્ષેત્રમાં સંપૂર્ણ આધુનિકતાથી સજ્જ એવી આ હોસ્પિટલ પર આધ્યાત્મિકતાનો અભિષેક છે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની કૃપાનજર  છે. …પ્રમુખસ્વામીના જ્યાં પગલાં પડે એ સ્ટાન્ડર્ડ બની જાય. સમગ્ર સાર્વજનિક જીવનમાં શિસ્તની, સુયોજનાની, ક્ષમતાની એક અદભુત મિસાલ આ પ્રમુખસ્વામીના નેતૃત્વમાં એક આંદોલન બની ગઈ છે. માનવજાતનું કલ્યાણ આમાં જ છે.”

ઓગસ્ટ 2002, અમદાવાદમાં રક્ષાબંધન પર્વે,

“યુગાનુકૂલ પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો જયારે સંત કરતા હોય ત્યારે સામાન્ય વ્યક્તિને આની ખબર ન પડે કે આનું પરિણામ શું આવશે!

સંત જયારે કરતા હોય છે ત્યારે આવનારી સદીઓ સુધી એનો પ્રભાવ પડતો હોય છે. પ્રમુખસ્વામીના આશીર્વાદ સંસ્કૃતિ રક્ષાની તાકાત આપે છે . પ્રમુખસ્વામીના આશીર્વાદ જીવન જીવવાની તાકાત આપે છે. પ્રમુખસ્વામીના આશીર્વાદ સત્ય માટે જીવવા-મરવાની તાકાત આપે છે . એ જ તાકાતની ખેવના છે .”

મે, 2002, કચ્છમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં, નવનિર્મિત ગામ ‘નારાયણનગર’ ના લોકાર્પણ પ્રસંગે,

“આ ગામના લોકોને પૂર્વજન્મનું કોઈ પુણ્ય હોવું જોઈએ. પુણ્ય એટલા માટે કે ભૂકંપ પછી તમારી આંગળી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પકડી છે. અને પ્રમુખસ્વામી મહારાજ જેની આંગળી પકડે તેનો તો ભવસાગર પર થઇ જતો હોય છે.  પ્રમુખસ્વામીએ ગુજરાતના જાહેર જીવનને એક નવો ઓપ આપ્યો છે. નવી શક્તિ આપી છે. પીડિતોની પીડાને દૂર કરવા માટે કઈં કરી છૂટવું , કરુણાના સાગર બનીને જીવવું, એનો એક અભિનવ ભાવ આપણે તેમનામાં અનુભવ કરી રહ્યા છીએ.”

આ પણ વાંચો:ગમે તે જીતે હાર્દિક હારવો જોઈએ….મતદાન પહેલા પોસ્ટર વોર

આ પણ વાંચો:2024ની તૈયારીમાં ખડગે, કોંગ્રેસ સ્ટિયરિંગ કમિટીની બેઠકમાં નેતાઓ પાસેથી માંગ્યો રિપોર્ટ, નવા લોકોને તક આપવા કહ્યું

આ પણ વાંચો:થરાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થકોની ગુંડાગર્દી? જાણીતા ડો.કરશન પટેલને આપી જાનથી મારી નાંખવાની ધમકી