સાબરકાંઠા,
સાબરકાંઠા જીલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ પોતાના ફરજના સ્થળને ટકાવી રાખવા માટે અખતરા શરુ કર્યા છે. જેમાં ભુતીયા વિદ્યાર્થીઓનો સમાવેશ કરીને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાને જાળવી રાખવા માટેનો પ્રયાસ શરુ કર્યો છે.કાગળ ઉપર વિદ્યાર્થીઓને બતાવવામાં આવતાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં એવા અનેક શિક્ષકોએ વિદ્યાર્થીઓની ઘટ સર્જાતા બદલીની તલવાર લટકતી હોય છે અને આવા શિક્ષકોએ ખાસ મોડસ ઓપરેન્ડી મુજબ પોતાની શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા પુરતા પ્રમાણમાં હોવાનુ દર્શાવવા માટે ભુતીયા વિધ્યાર્થીઓનો આશરો લીધો છે.
શિક્ષકો દ્વારા અન્ય શાળાના પ્રમાણ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તો તે વિદ્યાર્થીઓને ઘટ પડતી શાળાના રજીસ્ટરમાં બતાવવામાં આવે છે. જો કે વાસ્તવમાં તે વિદ્યાર્થીઓ નજીકની બીજી શાળામાં અભ્યાસ કરતાં હોય છે.
આમ રીતસર શિક્ષણ વિભાગની આંખમાં ધુળ નાંખવામાં આવતી હોય છે. જેને લઇને હવે શિક્ષણ વિભાગ સફાળુ જાગ્યું છે અને જીલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓની વાસ્તવિક ગણતરી અને ચકાસણી હાથ ધરી છે.