અમરેલીના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે જાણે ‘રેડિયો મ્યુઝિયમ’…વાલ્વ વાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધીના વિવિધ ૨૦૦ રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છેશુક્રવારી, અલંગમાંથી જુદાં-જુદાં શહેરોમાંથી રેડિયો એકઠા કરી સંગ્રહ કરેલા તમામ રેડિયો અને તમામ ચાલુ હાલતમાં છે. બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવાં રેડિયોને પણ તેઓ મૂળભુત સ્થિતિમાં લાવી અને રેડિયોને ચાલુ કરવાનો શોખ ધરાવે છે.
૧૩ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત અને હયાત છે. ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે. ‘વિશ્વ રેડિયો દિવસ’ની તવારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા ૧૩ ફેબ્રુઆરી,૨૦૧૨ના રોજ પ્રથમવાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે તારીખ 13મીએ સોમવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થશે ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે. રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે.જો કે, હવે રેડિયોનું સ્વરૂપ બદલાઈ ગયું છે. એક જમાનામાં વાલ્વવાળો એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઈલથી લઈને નાઇટ લેમ્પ સુધી પહોંચી ચૂક્યો છે. આ સ્થિતિમાં ચલાળાના રેડિયો સંગ્રાહક સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે.
સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે. ઘરના જુદાં-જુદાં ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે. આ તમામ રેડિયો આજે પણ ચાલુ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે. ૭૭ વર્ષીય સુલેમાનભાઈ પાસે વિવિધ કંપનીઓનાં, વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવાં અતિ દુર્લભ કહી શકાય તેવાં રેડિયો પણ છે. આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એક- એક પાર્ટ વિશે જાણકારી હોય છે. બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રિપેર કરી તેને ચાલુ કરે છે. તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે.
રેડિયોના શોખ વિશે માહિતી આપતા સુલેમાન દલ જણાવે છે કે, મને નાનપણથી જ રેડિયોનો શોખ હતો, ચલાળામાં ડૉ. પોટા નામે તબીબ રહેતા હતા.જેમના ઘરે રેડિયો હતો. હું છ વર્ષનો હતો ત્યારે તેમના ઘરે રેડિયો સાંભળવા માટે અમે જતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૪માં અમરેલી ખાતે ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો. ત્યારથી જ મને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. મારે રેડિયોના વેચાણની દુકાન હતી.એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરુઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ ૨૦૦૦થી કરી હતી. આ રેડિયોનો સંગ્રહ કરતા કરતા આજે મારી પાસે વાલ્વવાળા વિવિધ ૭૨ રેડિયો છે જ્યારે ૧૨૨ જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ ૨૦૦ રેડિયો સંગ્રહમાં છે. આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે.
આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ ૧૯૨૩માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરુ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર ૧૯૩૫માં એમ.બી. ગોપાલાસ્વામીએ “આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી ૮ જૂન ૧૯૩૬ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ ૧૯૫૬માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ “આકાશવાણી રાખવામાં આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાંઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ ૧૯૩૯માં રેડિયો સ્ટેશન શરુ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૪૯માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો અને આજે પણ રેડીયોના શોખીનો રેડીયો જ સાંભળવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો:ભારતના આ ગામમાં લોકો દેશના કાયદાનું નથી કરતા પાલન! અહીં છે પોતાની સંસદ અને બંધારણ
આ પણ વાંચો:જો પત્નીનો જન્મદિવસ ભૂલી જાઓ છો, તો આ દેશમાં 5 વર્ષની જેલ થઈ શકે
આ પણ વાંચો: દેશનાં આ વિસ્તારમાં રહેતી મહિલાઓ સાડીની અંદર નથી પહેરતી બ્લાઉઝ, જાણો શું છે કારણ