કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને લોકસભાનાં સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખેડૂતો અને મોંઘવારીનાં મુદ્દે ઘેરી લીધા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, દેશની સામાન્ય જનતા મોંઘવારી અને ખેડૂત કેન્દ્રનાં કાળા કાયદાથી નારાજ છે, પરંતુ સરકાર ફક્ત તેના મૂડીવાદી મિત્રોની ચિંતા કરે છે. નોંધપાત્ર વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે ખેડૂતો દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં રાહુલ ગાંધી પણ પંજાબ અને હરિયાણામાં કૃષિ કાયદા વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા.
ગુરુવારે રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, “સામાન્ય લોકો પર સતત વાર, હવે મોંઘવારી પણ થઇ હદ પાર…કાળા કાયદાથી ખેડૂતો છે લાચાર, છીનવાયો તેમનો આદર અને અધિકારો…હાથ પર હાથ ધરી રહી છે મોદી સરકાર, કરે માત્ર પૂંજીપતિ મિત્રોનો બેડો પાર.” આપને જણાવી દઇએ કે, તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ભારતનાં વિકાસ દર અંગે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલને લઇને પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
આ પહેલા મંગળવારે પંજાબની કોંગ્રેસ સરકારે વિધાનસભામાં કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. પ્રસ્તાવ રજૂ કરતી વખતે સીએમ અમરિન્દરસિંહે કહ્યું કે, કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદા ખેડૂતોની વિરુદ્ધ છે અને તેથી જ તેઓ આ દરખાસ્તો લાવ્યા છે. અમરિંદરસિંહે કહ્યું કે, પંજાબનાં ખેડૂતોને કૃષિ કાયદાઓથી બચાવવા તેઓ રાજ્યનાં કાયદાઓની શક્ય તેટલી મદદ લેશે. આ સાથે જ જો સૂત્રોની વાત માનીએ તો પંજાબ બાદ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવી શકે છે.