Rajkot : રિસોર્ટમાં ડિનર બાદ બની ઘટના
મૃતક આનંદીના મામા ગોપાલભાઈ કટારિયાએ મીડિયા સાથે ભારે હૈયે વાતચીત કરતા જણાવ્યું કે, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મોદીનો પરિવાર રાજકોટ આવ્યો હતો. અહીં પરિવારે એક સેવાકીય કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં તમામ વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય પૂરું કરીને પરિવારના તમામ સભ્યો રાત્રે આનંદ રિસોર્ટ ખાતે ડિનર માટે ગયા હતા. રેસ્ટોરન્ટમાં આનંદથી જમ્યા બાદ ઘરના વડીલો લોબીમાં બેસીને વાતો કરી રહ્યા હતા, જ્યારે આનંદી પરિવારની અન્ય બહેનો અને બાળકો સાથે ખુશખુશાલ માહોલમાં દોડાદોડી કરીને રમી રહી હતી.

રમતાં રમતાં જ આવ્યો સિવિયર એટેક
સામે આવેલા વીડિયો અનુસાર, આનંદી અન્ય બાળકો સાથે રિસોર્ટના પેસેજમાં હસતાં-હસતાં દોડી રહી હતી. બરાબર એ જ સેકન્ડે તેને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને તે સીધી જમીન પર ઢળી પડી. આનંદીને નીચે પડતી જોઈને પરિવારના સભ્યો તાત્કાલિક તેની તરફ દોડ્યા હતા અને તેને ભાનમાં લાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. કોઈ જ હલચલ ન જણાતા પરિવાર તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની જાણીતી સિનર્જી હોસ્પિટલ (Synergy Hospital) ખાતે લઈ ગયો હતો. જો કે, ત્યાં હાજર તબીબોના તમામ સઘન પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને ડૉક્ટર્સે તેને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ‘મૃત જાહેર’ કરી હતી. પ્રાથમિક તપાસમાં આનંદીનું મોત સિવિયર કાર્ડિયાક અરેસ્ટ (Severe Heart Attack) ના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

દીકરીની વિદાયથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ
મામાએ વધુમાં જણાવ્યું કે, 14 વર્ષની આનંદી એકદમ સ્વસ્થ હતી અને તેને કોઈ પણ પ્રકારની નાની-મોટી બીમારી નહોતી. તે હંમેશા ઘરમાં હસતી-રમતી અને પરિવારની ભારે લાડકી હતી. જામનગરમાં આનંદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ અને સ્થાનીક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું. માત્ર ૧૪ વર્ષની કુમળી વયે હાર્ટ એટેકથી થયેલા આ અવસાનથી મેડિકલ જગતમાં પણ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી બાળકો અને યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધવી એ ખરેખર લાલબત્તી સમાન કિસ્સો છે.
