- સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સોમાના ચેરમેન
- ઉકાભાઈના હાથમાં આવ્યું સોમાનું સુકાન
- ઉકાભાઈ પટેલની કરવામાં આવી વરણી
- ગઇકાલે ગોંડલમાં મળી હતી કારોબારીની બેઠક
- પ્રમુખ તરીકે કિશોર વિરડીયાની થઇ હતી નિમણૂક
- ગત દિવસોમાં યોજાઇ હતી સોમાની ચૂંટણી
સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સંસ્થા ‘સોમા’ના ચેરમેન તરીકે ઉકાભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત એવી સંસ્થા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશનની નવનિયુકત કારોબારીની ગોંડલ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી અને તેમાં સંસ્થાના પીઢ અને અનુભવી એવા ઉકાભાઇ પટેલની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે.
તાજેતરમાં સોમાની કારોબારી અને પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. કારોબારી બિનહરીફ થઇ અને સંસ્થાના પ્રમુખ તરીકે કિશોરભાઇ વિરડીયાની પસંદગી કરવામાં આવી હતી. કારોબારીમાં મંત્રી તરીકે ધનસુખભાઇ નંદાણીયા (ગોંડલ), ઉપપ્રમુખ તરીકે મનુભાઇ પટેલીયા (જુનાગઢ), ખીમાભાઇ ગોજીયા (જામનગર), ભૂપતભાઇ મેતલીયા (અમરેલી)ની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સહમંત્રી તરીકે શાંતિલાલ સાવલીયા (કેશોદ), ખજાનચી તરીકે અશોકભાઇ પટેલ (જામનગર)ની પસંદગી કરવામાં આવી હતી.
અત્રે એ નોંધનીય છે કે થોડા સમય પહેલા સોમાની ચૂંટણી થઇ હતી અને તેણે ભારે ચર્ચા જગાવી હતી. આ ચૂંટણીમાં કારોબારીના ૨૩ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે પ્રમુખ પદ માટે સમીર શાહ અને કિશોરભાઇ વિરડીયા વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં કિશોરભાઇ વિરડીયાનો તોતીંગ બહુમતીથી વિજય થયો હતો. આ ચૂંટણીમાં ૯૫ ટકા જેટલું મતદાન થયું હતું એ અત્રે નોંધનીય છે.
અત્રે એ નોંધનીય છે કે આ સંસ્થાની સ્થાપના ૧૯૪૮માં આઝાદી સમયે કરવામાં આવી હતી અને તેની હેડ ઓફિસ જામનગર ખાતે છે. આ સંસ્થા સૌરાષ્ટ્ર – ગુજરાતની નાની-મોટી ૨૦૦૦ જેટલી ઓઇલ મિલોનું નેતૃત્વ કરી રહી છે અને સંસ્થા પાસે તેલ અને તેલીબીયાનું ટેસ્ટીંગ કરવા માટેની અદ્યતન લેબોરેટરી પણ છે. આ સંસ્થા ગુજરાતના ૩૩ જિલ્લાના ખેત ઉત્પાદન, તેલીબિયા ઉત્પન્ન કરતા ખેડૂતોને યોગ્ય ભાવો મળે અને ખાનાર પ્રજાને શુધ્ધ સીંગતેલ મળે તે માટે કાયમી પ્રયત્નો કરતી હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સોમાનો ખેડૂતલક્ષી નાતો જોડાયેલો હોય છે.