પાટડી દરિયાલાલ મંદિરમાં 97 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલ્લિત છે
સચિન પીઠવા, સુરેન્દ્રનગર@ મંતવ્ય ન્યૂઝ
પાટડીમાં આવેલા 100 વર્ષથી પણ પ્રાચીન ઐતિહાસીક દરિયાલાલ મંદિરમાં છેલ્લા 97 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલ્લિત છે. કોરોના વાયરસના પગલે પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. અષાઢી બીજે દરિયાલાલ મંદિરથી તળાવ સુધી જલયાત્રા નીકળશે. મંદિરમાં હવન અભિષેક અને ભક્તજનો માટે દર્શનની સુવિધા ચાલુ રહેશે.
પાટડીમાં લોહાણા જ્ઞાતી પરિવારનું અંદાજે 100 વર્ષ જૂનું દરિયાલાલજીનું ઐતિહાસીક મંદિર આવેલું છે. આ મંદિરમાં દરિયાલાલ દાદાના ગોખની બાજુમાં રાધાકૃષ્ણનો ગોખ અને રામકૃષ્ણ જાનકીનો ગોખ આવેલા છે. અહીં સમગ્ર ગુજરાતભરમાંથી લોહાણા સમાજના લોકો શ્રધ્ધાથી દર્શનાર્થે આવે છે. દરિયાલાલ દાદાના ગોખમાં લગભગ છેલ્લા 97 વર્ષથી અવિરત અખંડ જ્યોત પ્રજ્વલ્લિત છે.
આમ તો સંવેદનશીલ ગણાતા પાટડીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે દર વર્ષે 1 ડીવાયએસપી, 4 પીએસઆઇ, 45 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલિસ કોન્સ્ટેબલ, 10 મહિલા પોલિસ, 60 હોમગાર્ડના જવાનો અને 2 ફોટોગ્રાફર મળી કુલ 122 પોલિસ સ્ટાફનો ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે અષાઢી બીજે પાટડીમાં નિકળનારી ભવ્ય શોભાયાત્રા કોરોના વાયરસના પગલે પોલિસ અને તંત્રની પરમીશન ન મળતા સ્થગિત રાખવામાં આવી છે. અષાઢી બીજે દરિયાલાલ મંદિરથી તળાવ સુધી જલયાત્રા નીકળશે. મંદિરમાં હવન અભિષેક અને ભક્તજનો માટે દર્શનની સુવિધા ચાલુ રહેશે એમ મંદિરના સત્તાવાળાઓએ જણાવ્યું હતુ.