પૌરાણિક મિત્રો : કોરોના કાળમાં ઘણાં દેશમાં ઘણું બધું થયું છે. ભારતમાં ૨૦૨૦માં માર્ચની ૧૫મીથી જૂન માસની ૧૮મી સુધી જે લોકડાઉન રહેતા તેની સારી અસર પણ થઈ છે. આડ અસર પણ થઈ છે. કોરોના કાળમાં સરકારે ખર્ચ તો કર્યો જ છે પણ તેની સામે આવક પણ વધી છે. કોરોના કાળ ૨૦૨૦ માર્ચથી ૨૦૨૧ જૂન સુધીના સરકારી આવકના આંકડા એવું કહે છે કે, સરકારની આવક વધી છે એપ્રિલ માસમાં સત્તાવાર રીતે જે અહેવાલ પ્રસિદ્ધ થયેલો તે પ્રમાણે ભારતમાં ૧૦ મોટા ઉદ્યોગ ગૃહોની સંપત્તિમાં વધારો થયો છે. હમણાં થોડા દિવસ પહેલા મૈત્રિ દિન એટલે કે, જેને ફ્રેન્ડશીપ દિવસ કહે છે તે ઉજવાયો તેમાં સોશ્યલ મિડિયાએ વડાપ્રધાન મોદીની સાથે અમિત શાહની મૈત્રિને તો યાદ કરી જ પરંતુ સાથો સાથે બે મુખ્ય ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની વડાપ્રધાન સાથેની મૈત્રિ યાદ કરી.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કોઈકે વળી ભાજપના બે પીઢ નેતાઓ અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની મૈત્રિ યાદ કરી. કોઈકે બીગ બી અમિતાભ અને રાજનેતા અમરસિંહ વચ્ચેની મૈત્રિના ચઢાવ-ઉતારને યાદ કર્યા કોઈકે ફીલ્મ અભિનેતા દિલીપકુમાર અને શીવ સેનાના સદ્દગત સુુપ્રિમો બાબા સાહેબ ઠાકરેની મિત્રતાને પણ યાદ કરી. રાજકારણી કમ ફિલ્મ અભિનેતા સુનીલ દત્ત અને બાળા સાહેબ ઠાકરે, કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓ કમલનાથ અને સ્વ.સંજય ગાંધી, બીગ બી અમિતાભ બચ્ચન અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની મિત્રતાને પણ યાદ કરી. ઘણાએ તો રાજ્યો વાર અને જિલ્લા વાર મિત્રોની યાદી પણ જાહેર કરી. મિત્રતાના વખાણ કર્યા. ઘણાએ મોદી અને ઓબામા મોદી અને જોન્સન, મોદી-ઈઝરાયલના નેતાન્ય હુ અને અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પ સાથેની મિત્રતાને યાદ કરી તો પંડીત જવાહરલાલ નહેરૂની નાસર, ટીટો અને નીકીતા ક્રુશ્ર્ચેવ સાથેની મિત્રતાને પણ બિરદાવી નાસર ઈજિપ્તનાં, ટીટો ચેકો સ્લોવેકિયાનાં અને ક્રુશ્ચેવ જે તે સમયે સોવિયેત સંઘનાં વડા હતા.
રાજકારણમાં પણ મિત્રો હોય છે પરંતુ આ મિત્રો ક્યારે દુશ્મન બની જાય છે તે નક્કી હોતું નથી. સોશ્યલ મિડિયા પર અને પ્રચાર માધ્યમોમાં ઘણાં પ્રકારનાં મિત્રોને યાદ કરાયા. લોકસાહિત્યમાં દર્શાવાયેલા મિત્રોને પણ ખૂબ યાદ કરાયા.
પૌરાણિક મિત્રો: પરંતુ આપણે જે કાંઈ યાદ કર્યુ તે ૧૯૪૭થી ૨૦૨૧ સુધીનાં મિત્રો હતા. લોક સાહિત્યમાં પોતાની મૈત્રિ છેક સુધી નીભાવે એવા મિત્રો કેટલા? તેનો કોઈએ ઉલ્લેખ કર્યો હતો ખરો? ધર્મગ્રંથોમાં મીત્રતા નીભાવનારા પાત્રોને યાદ કર્યા હતા ખરા? જેને માત્ર ભારતનો નહીં પરંતુ વિશ્ર્વનું મહાકાવ્ય ગણવામાં આવે છે તે રામાયણમાં પણ મિત્રો અને સેવકોની લાંબી યાદી છે. ભગવાન રામ પિતાની આજ્ઞાના પાલન માટે વનવાસ ભોગવવા નિકળ્યા. સીતાજીનું રાવણે હરણ કર્યુ અને તેની શોધમાં નીકળ્યા. ભગવાનની ભક્ત એવી શબરી પાસેથી સુગ્રીવનું સરનામું મળ્યું. કીષ્કીંધા નગરી પાસેનાં ડુંગરમાં મોટાભાઈના ડરથી વસવાટ કરતાં સુગ્રીવની ભાળ મળી તે પહેલા ભગવાન રામને હનુમાનજી જેવો સેવક મળી ગયો. રામ અને સુગ્રીવની મિત્રતામાં હનુમાનજી સેતુ બન્યા. બન્ને વચ્ચે કથા કહે છે તે પ્રમાણે અગ્નિની સાક્ષીએ મિત્રતા બંધાઈ પરિણામ એ આવ્યું કે ભગવાન રામે વાલીને વધ કરી તેને મોક્ષ આપ્યો અને સુગ્રીવને રાજા બનાવ્યો. સુગ્રીવે પોતાના વિશાળ વાનર-રીછ સૈન્ય સાથે રાવણ સામેનું યુદ્ધ લડવામાં મદદ કરી પોતાની મિત્રતા નીભાવી. એટલું જ નહીં પરંતુ ભગવાન રામે પોતાની અવતાર લીલા પૂર્ણ કરી સ્વધામ પ્રયાણ કર્યુ ત્યારે પોતાનું રાજ્ય ભત્રીજા અંગદને સોંપીને પ્રભુ સાથે સ્વર્ગ પ્રયાણ કર્યુ. આ હતી રામ અને સુગ્રીવની મૈત્રિ.
પૌરાણિક મિત્રો: શ્રીલંકાનાં અહંકારી રાજા રાવણે ભગવતી સીતાજીનું હરણ કર્યુ ત્યારથી તેને ટપારતા રહેતા તેના સૌથી નાનાભાઈ વિભિષણ કે જેને ભક્તિનું વરદાન હતું તેણે સભામાં રાવણને નીતિ શાસ્ત્રના પાઠ ભણાવ્યા. આથી ઉશ્કેરાયેલા રાવણે તેને રાજદરબારમાંથી ધક્કો મારી કાઢ્યા અને લંકા છોડી દેવા આદેશ કર્યો. વિભિષણ રામના શરણે ગયા ભગવાન રામે તેને સમુદ્ર પાર આવેલી છાવણીમાં લંકા નરેશ તરીકે રાજ્યાભિષેક કર્યો ત્યારે રાવણ અને તેના દરબારીઓ હસતા હતા. પરંતુ વિભીષણે રાવણ સામેનાં યુદ્ધમાં રામ-લક્ષ્મણ વિગેરેને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપી મિત્ર ધર્મ નીભાવ્યો. તો બીજી બાજુ રાવણના વધ બાદ ભગવાન રામે તેને લંકાના રાજા તરીકે સત્તાવાર રીતે બેસાડીને પોતાનો ધર્મ પણ નીભાવ્યો. આ પહેલા યુદ્ધ વખતે રાવણે વિભિષણ પર ફેંકેલી શક્તિને રામે પોતે ઝીલી લીધી પણ વિભિષણને ઉની આંચ ન આવવા દઈ પોતાનો આદર્શ મિત્ર ધર્મ નીભાવ્યો હતો.
પૌરાણિક મિત્રો: ભગવાન રામે અયોધ્યાનું રાજ પૂર્ણ થયા બાદ જે પ્રદેશ હતો ત્યાંનાં રાજા નીષાધ સાથે મિત્રતા હતી. નિષાધ પોતાની જાતને રામના મિત્ર સાથે સેવક પણ માનતો હતો. રામે રાવણ વધ પછી નીષાધને મળ્યા. રાજ્યાભિષેક સમારોહમાં પણ હાજર રાખ્યા એટલું જ નહીં પણ સ્વધામ પ્રયાણ વખતે પોતાની સાથે પણ લઈ ગયા.
પૌરાણિક મિત્રો: શ્રીમદ્દ ભાગવતમાં ઉલ્લેખ છે અને પાઠ્ય પુસ્તકોમાં પણ આપણે ભણ્યા છીએ તે પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અને તેની સાથે અભ્યાસ કરનાર ભૂદેવ મિત્ર સુદામાની મૈત્રિ ચાર ચાંદ ચડી જાય તેવી હતી. કથા કહે છે તે પ્રમાણે શાપિત ધાન્ય એકલા ખાઈને સુદામાએ દરિદ્ર સામે ચાલીને સ્વીકાર્યુ હતું ભગવાન શ્રીકૃષ્ણને હિત જાળવવા સુદામાએઆ પગલું ભર્યુ હતું. જયારે ભગવાન શ્રીકૃષ્ણે પણ સુદામાજીનાં પરિવારનું દરિદ્રપણુ દૂર કરીને પોતાનો મિત્ર ધર્મ છેક સુધી નીભાવ્યો હતો. તેથી તો શ્રીકૃષ્ણ સુદામાની મૈત્રિ એક અમર મૈત્રી બની છે. રાજકુમાર અને ગરીબની આ મૈત્રિ પૂરાણોમાં ભક્તિ ભાવથી વખણાઈ છે. કારણ કે સુદામાજી શ્રીકૃષ્ણના મિત્રની સાથે ભક્ત પણ હતા.
મહાભારતમાં જે બે પાત્રોની અધર્મ કરનાર અને સાથ આપનાર તરીકે જેની ટીકા થાય છે તે દુર્યોધન અને કુંતિ પુત્ર કર્ણની મૈત્રિ પણ દાખલા‚પ છે. કર્ણ મૈત્રિ ખાતર પોતાનાં ભાઈઓ હતા તેવા પાંડવો સાથે યુદ્ધ કર્યુ પરંતુ માતા કુંતીને આપેલા વચન પ્રમાણે પાંડવોને સલામત રાખવા પોતે બલિદાન આપ્યું અને તે રીતે ભાઈઓને પણ જાળવ્યા અને મિત્રતા પણ જાળવી. જો કે ફ્રેન્ડશીપ ડે છે તે પશ્ર્ચિમની સંસ્કૃતિની દેણ છે પણ તે દિવસે ધર્મગ્રંથોમાં દર્શાવાયેલા મિત્રોને પણ કોઈએ યાદ ન કર્યા. હકિકતમાં મિત્રતાનાં પૂરાવા આપણા ધર્મગ્રંથોમાં છે તેવા બીજી કોઈ જગ્યાએ નથી તે વાત ખ્યાલમાં રાખવી પડશે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર