ભારતમાં કેટલાક પરિબળો એવા હોય છે કે જેઓ ગમે તેવો બકવાસ કરીને પ્રચારમાં કે આનાથી દેશને કે દેશના લોકોની લાગણીને કેવી ઠેસ પહોંચે છે તેની પરવા કર્યા વગર ગમે તેવી વાહિયાત વાતો કરીને પોતાનું નામ હમેશા ચમકતું રહે તેવા ખ્વાબમાં રાચતા રહેછે.આવા તત્વોને નથી દેશની પડી હોતી કે નથી પ્રજાની.દેશના લોકો વચ્ચે ભલે નફરતની લાગણી ઉભી થાય પણ આવા તત્વો કોઈની શરમ રાખ્યા વગર બકવાસ કરી શરમને પણ શરમ આવે તેવી વાતો કરતા રહે છે.અંગ્રેજો ગયા પણ તેનો ભાગલા પાડો અને ખ્યાતિ મેળવો તેવું વલણ અપનાવતા આવા તત્વો પોતાનો ખેલ પાડી નામાંકિત તો નહીં પરંતુ નામચીન બનતા રહે છે.શાસક કે વિરોધપક્ષના નેતાઓને ગાળો આપે તો કોઈને વાંધો નથી.પણ હવે આવા તત્વો દેશને મળેલી આઝાદી વિશે ગમે તેવું બોલતા અચકાતા નથી.ત્યાં સુધી તો ઠીક છે પણ આવા પરિબળો સ્વાતંત્ર્ય વીરો નું અપમાન કરતા વિધાનો કરે છે.
હવે આજ વ્યક્તિ આનાથી બે ડગલાં આગળ વધીને આખો દેશ જેને રાષ્ટ્રપિતા કહે છે સમગ્ર વિશ્વ જેના વિચારોને આદર્શ માને છે અને “મારો જીવન એજ મારો સંદેશ”એ જેમનું સૂત્ર હતું તે મહાત્મા ગાંધી વિશે પણ ખોટી અને વાહિયાત વાતો કરતા કરીને પોતાની રાજકીય કે માનસિક રીતે વિકૃત હોય તેવા વિધાનો બોલી પોતાની બુદ્ધિ નું (જો હોય તો!) પ્રદર્શન કરે છે.
આ વ્યક્તિ મેચ્યોર રાજકારણી નથી પરંતુ ફિલ્મી સ્ટાઈલની ભક્તિ કરી રાજકારણમાં કોઈ હોદો મેળવી ને કે રાજકારણમાં પ્રવેશ મેળવી કોઈ હોદો મેળવી પોતાનું નામ આગળ વધારવા માગેછે . આ વ્યક્તિ છે ફિલ્મ અભિનેત્રી કંગના રણોત કે જેણે પોતાની ફિલ્મો કરતા વિવાદી વિધાનો અને કામગીરી દ્વારા પ્રસિદ્ધિ મેળવી છે. સુશાંતસિંહ રાજપૂત પ્રકરણમાં અનેક વિધાનો કરી શિવસેના અને કોંગ્રેસ સામે મોરચો માંડ નાર આ અભિનેત્રી એ તાજેતરમાં ૧૯૪૭માં મળેલી આઝાદીને ભીખમાં મળેલી આઝાદી ગણવી હતી.જ્યારે ૨૦૧૪માં દેશને સાચી આઝાદી ગણાવી હતી.આ ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે પણ વાહિયાત અને વિવાદી નિવેદન કર્યું હતું.જેના કારણે આ અભિનેત્રી સામે રાષ્ટ્રભકત લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે.કેટલાક નાગરિકોએ તો પોલીસ અને કોર્ટમાં ફરિયાદ પણ કરી છે ઘણા ગાંધીવાદી અને રાષ્ટ્રભકત લોકોએ એમ પણ કહ્યું છે કે ગાંધીજીને આવા પરિબળોના પ્રમાણપત્રની જરૂર નથી.આ અભિનેત્રીએ સ્વતત્ર્ય વીરો નું અપમાન કર્યાની એક વધુ ફરિયાદ પણ થઈ છે.આ અભિનેત્રીએ આવા વિધાનો કોને ખુશ કરવા અને કોની ભક્તિ કરવા કર્યા હશે તે બાબત વિચાર માંગતો મુદ્દો છે. જો કે મોટાભાગના લોકોને આ વાતનો ખ્યાલ પણ આવી ગયો છે.
આ અભિનેત્રી રાજકારણ સહિતની તમામ બાબતો અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતી રહે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુરૂ નાનક જયંતી ના રોજ સવારે રાષ્ટ્રજોગા સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદા ખેડૂતો ના હિતમાં પરત લેવાની જાહેરાતકરી આ નિર્ણય અંગે સૌ પોતપોતાની રીતે મંતવ્ય વ્યક્ત કર્યું છે. સૌ નેતાઓએ પોતાની બુધ્ધી પ્રમાણે નિવેદનો આપ્યા છે.તેમાં અમૂકે આ નિવેદનને આવકાર આપ્યો છે તો મોટાભાગના વિપક્ષી નેતાઓએ કેન્દ્રના આ પગલાંને માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી ગણાવ્યું છે.
પરંતુ કંગના નામની આ અભિનેત્રી એ કૃષિકાયદાઓ પરત લેવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો નથી.એટલું જ નથી પરંતુ વધુમાં તેણીએ એમ કહયુ કે કાયદા સંસદને બદલે શેરીઓમાં નક્કી થશે તો દેશ જેહાદી ગણાશે.બીજું બધું તો ઠીક દેશને જેહાદી કહેવાની વાત કોઈ રીતે યોગ્ય પણ નથી અને વ્યાજબી પણ નથી.આમેય ખેડૂત આંદોલન સમયે પણ આ અભિનેત્રીએ આંદોલકારીઓ વિશે આક્ષેપો સાથે ગમે તેવી વાત કરી હતી.પરંતુ આ જેહાદી વાળી વાત કોઈ રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ કરી ન શકે.કોઈ નેતા કે નેતાઓ પર પ્રહારો કરવાનો કે તેની ભક્તિ કરવાનો સૌનો અધિકાર છે. પણ પોતાના હિત માટે દેશ માટે જેહાદી જેવો શબ્દ વાપરવાનો કોઈને અધિકાર નથી.આવું કહેનાર વ્યક્તિ ક્યારે પણ રાષ્ટ્રભકત હોવાનો દાવો પણ કરી શકે નહિ. આવા વિધાનો સમગ્ર દેશના રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભવનારા છે તેમ તો કહેવું જ પડશે.
આ ઉપરાંત આ અભિનેત્રી એ પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની ૧૦૪મી જન્મજયંતી નિમિતે પૂર્વ વડાપ્રધાનની તસ્વીર સાથે વિચિત્ર અંજલિ પણ આપી છે.
આ અભિનેત્રીએ શ્રીમતી ઇન્દિરા ગાંધીને અંજલી આપતા જે શબ્દો લખ્યા છે તે સાવ વિચિત્ર છે .આ વ્યક્તિ લખે છે કે લોકો માટે લાઠી અને તાનશાહી યોગ્ય છે તેવો અર્થ થાય.આ ભાષા કોઈ સાચો ભારતીય કે હિન્દુસ્તાની સંસ્કૃતિને માનનારો ક્યારે ય ન લખી શકે ન બોલી શકે. ઇન્દિરાજી સામે ઘણાને વાંધો હતો છે અને હોઈ શકે છે તે વ્યક્ત કરવામાં કોઈ પાછું પડ્યું નહોતું.હિન્દુસ્તાની સંસ્કૃતિ કહે છે તે પ્રમાણે મરણ જનાર કે જે વ્યક્તિ એ ફાની દુનિયામાંથી ચીરવિદાય લીધી છે તેના વિશે ઘસાતું ન બોલવું જોઈએ.આ પણ એક પ્રકારનો મોતનો મલાજો પાળવાની વાત છે.હિન્દુસ્તાની સંસ્કૃતિની આજ શીખ છે-સલાહ છે.કંગના રણોતે શ્રદ્ધાંજલિ આપતા જે શબ્દ પ્રયોગ કર્યોછે તેનો ઉલ્લેખ કરીને જાણકારો કહે છે કે આના કરતાં શ્રદ્ધાંજલિ ન આપી હોત તો સારૂ હતું.આમેય આ અભિનેત્રી જે વિચારધારાની હિમાયત કરે છે તેને માનવા વાળા ઘણા મહાનુભાવોએ આ પૂર્વ વડાપ્રધાનને યાદ પણ કર્યા નથી.
આ તબક્કે એક વાતની યાદ આપવી પડે છે કે ઇન્દિરા ગાંધીએ પોતે લીધેલા નિર્ણયોમાં ક્યારે પણ રોલબેક કર્યું નથી.પંજાબમાં ફેલાયેલા આતંકવાદના ખાતમાં માટે અત્યંત જોખમી ગણાતું “બ્લુ સ્ટાર ઓપરેશન કર્યું “.અને આના જ કારણે તેમણે શહીદી વહોરી -જાન ગુમાવ્યો પણ ઝુક્યા નહિ.આ તેમની રાષ્ટ્રભક્તિનો પુરાવો હતો.પંજાબને આતંકમુક્ત કરવાનું વચન પ્રાણ આપીને પણ પાળ્યું.
પાકિસ્તાન અત્યારે ભારત માટે માથાના દુઃખવ સમાન દેશ બની રહ્યો છે.ભારતમાં આતંકવાદી પ્રવુતિ પણ કરે છે અને પોતાના દેશમાં આશરો લેનારા ત્રાસવાદીઓને આશરો તાલીમ અને સહાય બધું આપે છે.૧૯૭૧ના ઐતિહાસિક યુધ્ધમાં ભારતના ત્રણેય પાંખના જવાનોએ બહાદુરી બતાવી પાકને બરાબર પછાડયું અને તેના કારણે તેના ભાગલા થયા. તેમજ પૂર્વ પાકિસ્તાન ગણાતું રાજ્ય સ્વતંત્ર રાષ્ટ્ર બાંગ્લાદેશ બન્યું.આ વખતે ભારતના લશ્કરી વડા ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા હતા અને ભારતના વડા પ્રધાન પદે શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા.આ યુધ્ધ સમયે જગતનું જમાદાર ગણાતું અમેરિકા પાકિસ્તાન સાથે હતું.છતાં રશિયા એટલે કે તે સમયના સોવિયેત સંઘના સહકાર સાથે અમેરિકાને પણ સીધું કર્યું હતું.ત્યારબાદ કારગિલનોજંગ આપણે અટલજીના નેતૃત્વમાં જીત્યા.પણ આ જંગ ૧૯૭૧ના યુધ્ધ કરતા તો હળવો હતો..૧૯૭૧ વખતે સમજણા હશે તેને આની કિંમત સમજાય છે.માત્ર એક કે બે સર્જીકલ સ્ટ્રાઈક થીં પાકિસ્તાન ક્યારે પણ સીધું ન થાય.ઈંન્દીરા ગાંધીના પ્રદાનને યાદ ન કરે તો કઈ નહિ પણ તેમની ગેરહાજરીમાં ગમે તેવી વાતો કરવી તે તો કોઈ રીતે યોગ્ય છેજ નહિ.આવી વાત કરવી એ રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રપ્રેમ તો ક્યારે પણ ન જ કહેવાય.બાકી તો હિન્દુસ્તાની સંસ્કૃતિને માન આપવું કે નહીં તે જે તે વ્યક્તિએ નક્કી કરવાનું છે.
કોઈ વ્યક્તિ કશું બોલે તો તેમા તેનામાં રહેલા સંસ્કારનો પડઘો પડે છે.કોઈ પણ પ્રકારની ભક્તિ કરવા મોતનો મલાજો ન જળવાય,દેશ માટે શહીદ થનાર સ્વાતંત્ર્ય વિરોનું અપમાન કરતા વિધાનો માત્ર ફિલ્મોની જેમ પબ્લિસિટી સ્ટંટ તરીકે કરવામાં આવ્યા હોય તો કશું કહેવું નથી.છતાં ય એટલું તો ચોક્કસ કહેવું છે કે “જેવા જેના સંસ્કાર ‘.
આગ / અમરેલીમાં રહેણાંક મકાનમાં લાગી આગ, માતા અને બે દીકરીઓના મોત
મહત્વનો નિર્ણય / દિલ્હીમાં મેટ્રો અને બસ ધમધમશે, હવે 100 ટકા ક્ષમતા સાથે દોડશે બસ અને મેટ્રો..