અમદાવાદ,
સાબરમતી જેલમાં સુરંગ બનાવનાર આરોપીએ મેટ્રોપોલિટન કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેને લઈને કોર્ટે પુરાવા અને સંજોગો આધારે નામંજુર કરી છે.
ઉલ્લેખનિય છે કે, હંમેશા વિવાદો માટે જાણીતી એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં વર્ષ ૨૦૧૩ દરમિયાન સુરંગ કાંડનો ચકચારી બનાવ બન્યો હતો. ખુંખાર આંતકીઓ દ્વારા જેલમાંથી ૨૦૦ ફૂટ જેટલી લાંબી સુરંગ ખોદવામાં આવી હતી. જેમાં તેઓને નિષ્ફળતા પ્રાપ્ત થઇ હતી અને તમામ આરોપીઓ જેલની પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
તેમાંથી એક આરોપી રજીયુદિન નાશર દ્વારા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની સમક્ષ રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. જેના પર સુનાવણી હાથ ધરાતા કોર્ટે પુરાવા અને સંજોગોને ધ્યાને રાખીને આરોપીના રેગ્યુલર જામીન અરજીને ફગાવ્યા હતા.
ગુજરાત પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના ખૂંખાર આતંકીઓને દેશના જુદા જુદા સ્થળોથી પકડી પાડીને તેમને સેન્ટ્રલ જેલ ભેગા કરીને પોલીસે આગળની કાયર્વાહી શરુ કરી હતી. જેલમાં બંધ ખૂંખાર આંતકીઓની માટે જેવી દેખરેખ પોલીસે રાખવી જોઈએ તેવી રાખી ન હતી અને પોલીસની થોડી ચૂક તેમજ આળસને કારણે સિરિયલ બ્લાસ્ટના આરોપીઓએ એક ફૂટ નહીં. બે ફૂટ નહિ. એમ કુલ ૨૦૦ ફૂટ જેટલી લાંબી સુરંગ ખોદી નાખી હતી.
જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસને આખરે આતંકીઓની કરતૂતની ગંધ આવી જતા તેમણે તમામ આતંકીઓને રંગેહાથે સુરંગ ખોદતાં ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી હતી.
જેમાં ૨૪ જેટલા આરોપીઓના નામ સામેલ હતા અને તેમાંથી એક નામ હૈદરાબાદનો રજીયુદીન નાશરનો પણ હતો. જે છેલ્લા ૫ વર્ષથી સુરંગ કાંડના ગુનામાં બંદ છે અને તે કેસમાં તેના વતી રેગ્યુલર જામીન અરજી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની સમક્ષ મુકવામાં આવી હતી. જે કોર્ટે પુરાવા અને સંજોગોને આધારે નામંજૂર કરી હતી.