@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શીવસેનાના સુપ્રિમો શરદ પવારે જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી ત્યાં એક યા બીજા પ્રકારની પ્રક્રિયા થતી રહે છે. ઉધ્ધવ ઠાકરે કોરોના સામે તો જંગ ખેલેજ છે તો તેની સાથોસાથ પોતાના સાથીઓને સાથે રાખવા પણ કવાયત કરવી પડે છે. મહારાષ્ટ્રના નેતાઓ પછી તે ભાજપના ચંદ્રકાંત પાટીલ હોય કે દેવેન્દ્ર ફડનવીસ હોય અથવા તો કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે હોય તે ગમે તેવા વિધાનો કર્યે રાખે છે. એન.સી.પી. આ બાબતમાં સ્પષ્ટ છે પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે મમરો મૂકેલો જ છે. ચંદ્રકાંત પાટીલ છેલ્લા છ માસમાં ત્રણથી ચાર વખત એવું બોલ્યા હશે કે, મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર રચશે. રાતોરાત રચશે. સવારે બધાને ખબર પડશે કે મહારાષ્ટ્રમાં આવું બનશે. જ્યારે મુખ્યમંત્રી પદનો સ્વાદ ચાખી ચૂકેલા દેવેન્દ્ર ફડનવીસ પણ મુખ્યમંત્રી પદની ખૂરશી ફરી પોતાને મળે તે માટે રાહ જોઈને બેઠા છે. તેઓ પણ જ્યારે મોકો મળે ત્યારે ઉંબાડીયા કરતા રહે છે. જ્યારે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારબાદ કેન્દ્રના મંત્રી અને આરપીઆઈ એટલે કે રીપબ્લીકન પક્ષના આગેવાન રામદાસ આઠવલેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં બની શકે છે. ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદે ચાલુ રાખી ભાજપ તેમાં ભાગીદાર બની શકે છે તેવી વાત પણ આ પક્ષના એક આગેવાને કરી.
બીજી બાજુ કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ પટોળેકરે કહ્યું કે મુંબઈ સહિત મહાનગરોની સ્થાનિક ચૂંટણીમાં શીવસેના એકલા હાથે લડશે. જો કે તેમના આ વિધાન બાદ મહારાષ્ટ્રના કેટલાંક વિશ્ર્લેષકો અને કોંગ્રેસી આગેવાનોએ તેને આડે હાથ લીધા છે. મહારાષ્ટ્ર જ્યારે આફતનો સામનો કરી રહ્યું છે અને ભાજપ કે જેનો પોતાના સિવાય કોઈ પક્ષની સરકાર ન હોવી જોઈએ એવો જેનો કાયમી આગ્રહ છે તે પક્ષ ઉધ્ધવ ઠાકરેને ઉથલાવવા પેંતરા ઘડે છે. ત્યારે આવી કોઈ વાત ભાજપની બી ટીમ બનવા જેવી અને સાથોસાથ લોકશાહીનો ધ્વંશ કરવા જેવી પણ પૂરવાર થશે.
મહારાષ્ટ્રમાં શીવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉત સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા કામના વખાણ કરે ત્યાં કેટલાંક પરીબળો ભાજપ શીવસેના આવા પ્રકારના ગણિત ગણતા થઈ જાય છે તે પણ હકિકત કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. જો કે તાજેતરમાં સંજય રાઉતે પણ એવી સ્પષ્ટતા કરી છે કે, ઉધ્ધવ ઠાકરે અને મોદી વચ્ચે મિત્રતા છે તે વાત સાચી પરંતુ રાજકારણમાં શીવસેના પોતાની રીતેજ આગળ વધવા માગે છે. શીવસેના પોતાના જૂના સિદ્ધાંતોની સાથે આગળ વધીને મહારાષ્ટ્ર અઘાડીની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે તે નિશ્ર્ચિત છે.
મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને ખંડણી સહિતના પ્રકરણો અંગે જે રીતે ભીંસમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે જોતા એન.સી.પી. પર દબાણ લાવી પોતાની સાથે લેવાની ભાજપની મેલી ચાલ છે તેવું હવે એન.સી.પી.ના આગેવાનો સમજી ચૂક્યા છે. જો કે ધારણા કરતા વધુ શાણા પૂરવાર થયેલા ઉધ્ધવ ઠાકરે કોરોના સામેનાં જંગમાંજ ધ્યાન કેેન્દ્રીત કર્યુ છે. તે પોતાની ટીમ સાથે કોરોનાની દરેક લહેરને પહોંચી વળવા આયોજન ગોઠવે છે. મહારાષ્ટ્રમાં કેટલીક છૂટછાટો આપ્યા બાદ કેસ વધ્યો અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થવાની સાથેજ હળવા બનાવાયેલા પ્રતિબંધો કડક બનાવ્યા છે.
કેન્દ્રીય કરણ નહોતું ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર પોતે વેક્સિન ખરીદતી હતી. જો કે જાણકારો કહે છે તે પ્રમાણે વેક્સિીનેશનનું કેન્દ્રીય કરણ થયા બાદ ખાનગી હોસ્પિટલોએ વધુ વેક્સિન કવર કરતાં સરકારી એકમોને વેક્સિનની અછતનો સામનો કરવો પડે છે. સરકારી કેન્દ્રો પર થતી ભીડ મુંબઈગરા લોકોને પોસાતી નથી એટલે ખાનગી રીતે જ‚ર પડે પૈસા ખરચીને પણ વેક્સિન લેવી પડે છે તે પણ હકિકત છે. જો કે, ગુજરાતમાં વેક્સિનની અછત ઉભી થઈ જ છે તે પણ હકિકત છે અને છેલ્લાં પાંચ દિવસથી વેક્સિનેશનનું પ્રમાણ ઘટ્યું તે આ વાતનો પૂરાવો છે પણ જે હોય તે પણ મહારાષ્ટ્ર સરકાર કોરોના સામે વ્યસ્ત હોય ત્યારે તેના સાથી અને વિરોધ પક્ષોએ લોકોના હિત ખાતર અને લોકશાહીની રક્ષા માટે ખોટું રાજકારણ ખેલીને તેને અસ્થિર કરવાનો પ્રયાસ કરી મહારાષ્ટ્રને અસ્થિર બનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ તેવુ મોટાભાગના વિશ્ર્લેષકો માને છે.
એનસીપીના એક નેતાને ખેંચી ભાજપે થોડા કલાક માટે ૨૦૧૯માં સરકાર બનાવી હતી પણ પછી તેને ઘરભેગા થવું પડ્યું હતુ આ બધી ઘટનાઓ વચ્ચે મંગળવારે એનસીપીના સુપ્રીમો શરદ પવાર, મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠકમાં ઘણા મુદ્દા ચર્ચાયા છે તાજેતરમાં ઈડીએ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશ આસપાસનો ગાળિયો મજબૂત બનાવ્યો છે તેની પણ ચર્ચા પણ થઈ હશે કોંગ્રેસ સાથે મતભેદ અને શીવસેના ભાજપ વચ્ચે સુધરતા સંબંધો બાબત પણ ક્વાયત થઈ હશે. ઉધ્ધવ ઠાકરેની મુલાકાત અંગે શીવસેના સ્પષ્ટતા કરી ચૂકી છે કે આ મુલાકાત એક મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનની પ્રોટોકોલ મુજબ મુલાકાત લે તેવી હતી રાજકીય નહોતી. શિવસેના મહારાષ્ટ્ર અઘાડીને ટકાવવા મક્કમ કવાયત કરે છે. કોંગ્રેસ સાથે સમજાવટનો દોર ચાલું છે ત્યાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પણ એવો મમલો મૂક્યો છે કે મહારાષ્ટ્રનો આગામી મુખ્યમંત્રી કોંગ્રેસનો હશે. આ બધા કમઠાણ વચ્ચે શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરે વચ્ચેની મુલાકાતને સૂચક મનાય છે. શરદ પવારે તાજેતરમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ જે વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી ત્યારે ત્રીજા મોરચાની રચનાની અટકળોએ વેગ પકડ્યો હતો પરંતુ આ બેઠક બાદ તેના પર પૂર્ણવિરામ પણ મૂકાઈ ગયું હતું.
શરદ પવાર સાથે બે વખત મૂલાકાત કરી ચૂકેલા ચૂંટણી વ્યૂહના શહેનશાહ ગણાતા પ્રશાંત કિશોરે પણ એવું સ્પષ્ટ કહ્યું હતું કે, ત્રીજો મોરચો ભાજપ સામે લડવાનું માધ્યમ નથી. જ્યારે એનસીપીના એક આગેવાનો પણ કહેલું કે કોંગ્રેસ વગરનો કોઈ વિપક્ષી મોરચો સફળ ન થાય. શરદ પવાર કદાચ આગામી દિવસોમાં કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને પણ મળે તેવી શકયતા છે. ગુજરાતમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ-બોસ્કી વચ્ચેની મુલાકાત અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં એનસીપીના પ્રવક્તા મલ્લીકે કોંગ્રેસ સાથે ગઠબંધન ચાલુ રાખવા એનસીપી કોઈ કસર નહિ છોડે. જો કે, એનસીપી અને કોંગ્રેસ એ બન્ને પક્ષના નેતાઓ આ વાત જાણે છે કે બન્ને પક્ષ સાથે મળીને લડે તો જ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં સારો દેખાવ કરી શકે તેમ છે. ટૂંકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે પણ રાજકીય દાવપેચનો નવો દોર ચાલુ છે.