એનસીપી પ્રમુખ શરદ પવારે મંગળવારે વિપક્ષી દળોને તેમના મતભેદોને બાજુ પર રાખીને 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી સામે એક થવા હાકલ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટી સાથે ન ઉભા રહેવા માટે કોંગ્રેસને પણ ફટકાર લગાવી. નોંધનીય છે કે AAP દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021 માં કથિત અનિયમિતતા માટે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસનો સામનો કરી રહી છે
પાર્ટીની લઘુમતી પાંખની બેઠકને સંબોધતા પવારે કહ્યું કે આ કોંગ્રેસની ફરજ છે, અરવિંદ કેજરીવાલ સાથે તમારા મતભેદ હોઈ શકે છે, પરંતુ આપણઈ ખરી લડાઈ ભાજપ સાથે છે. આપણી લડાઈ સાંપ્રદાયિક શક્તિઓ સાથે છે.
એનસીપીના વડાએ કહ્યું કે આપણે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંપ્રદાયિક શક્તિઓને ફાયદો થાય. દરેક વ્યક્તિએ આ વાત યાદ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે ઈમરજન્સી દરમિયાન પણ રાજકીય માહોલ પર એવો અહેસાસ હતો કે આગામી 25 વર્ષ સુધી કોઈ પરિવર્તન નહીં આવી શકે, પરંતુ લોકોએ 1977માં જ પરિવર્તનની શરૂઆત કરી હતી.
પવારે કહ્યું કે આપણે નેતાઓ ભલે હોશિયાર ન હોઈએ પરંતુ સામાન્ય જનતા હોશિયાર છે. વર્ષ 2024ની ચૂંટણીમાં સામાન્ય જનતા ભાજપને પાઠ ભણાવશે. તેમણે કહ્યું કે તેઓ બિન-ભાજપ પક્ષોને એક કરવાનો પ્રયાસ કરશે અને તેમને મતભેદોને બાજુ પર રાખીને સાથે મળીને કામ કરવા કહેશે.
એનસીપી પ્રમુખે યાદ અપાવ્યું કે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢમાં ભાજપ સત્તામાં નથી. ભાજપ કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ધારાસભ્યોને લાલચ આપીને સત્તામાં આવી. પવારે કહ્યું કે આવા કૃત્યોને જનતાની મંજૂરી નથી. તેમણે કહ્યું કે દેશમાં 70 ટકા ભાજપનું શાસન નથી.