કેરળનાં તિરુવનંતપુરમનાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને લોકસભાનાં સાંસદ શશી થરૂર ગુરુવારનાં રોજ ફેક ન્યૂઝનો શિકાર બન્યા અને એક મોટી ભૂલ કરી બેઠા હતા. શશી થરૂરે ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ અને ભાજપનાં વરિષ્ઠ નેતા સુમિત્રા મહાજનનાં અવસાનનાં બનાવટી સમાચારને ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આપને જણાવી દઇએ કે, સુમિત્રા મહાજન એકદમ ઠીક છે. ફેક ન્યૂઝ ટ્વીટ કર્યા બાદ શશી થરૂર સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા. ટ્વીટ કર્યાનાં થોડા સમય પછી જ, કોંગ્રેસનાં નેતા શશી થરૂરને ખબર પડી કે તેમણે ખોટી માહિતી ટ્વીટ કરી હતી. ત્યાં સુધીમાં, તેમના ટ્વીટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયો હતો. શશી થરૂરનાં ટ્વીટ પર ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું છે કે, તાઈ (સુમિત્રા મહાજન) એકદમ સ્વસ્થ છે. ભગવાન તેમના જીવનને લંબાવે. કોંગ્રેસનાં નેતા શશી થરૂરે ગુરુવારે રાત્રે ટ્વીટ કર્યું હતું કે, ‘લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજનનાં અવસાન વિશે સાંભળીને દુઃખ થયું છે. હું તેમની સાથેના મારા ઘણા સકારાત્મક વાતોને યાદ કરું છું. મને ત્યારે પણ યાદ આવે છે જ્યારે તેમણે અને સ્વર્ગીય સુષ્મા સ્વરાજે મને ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાનું કહ્યું હતું. પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ.’ જલદી જ શશી થરૂરને ખબર પડી કે તેમણે ખોટી માહિતીને ટ્વિટ કરી છે, તેમણે તુરંત જ પોતાનું ટ્વીટ ડિલીટ કર્યું હતુ.
ભાજપનાં નેતા કૈલાશ વિજયવર્ગીયાએ શશી થરૂરનાં ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે, ‘તાઈ ખૂબ સ્વસ્થ છે. ભગવાન તેમને લાંબી ઉંમર આપે.” કૈલાસ વિજયવર્ગીયાનું ટ્વીટ પર શશી થરૂરે ટ્વિટ કરી અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે, કૈલાસ વિજયવર્ગીયાનો આભાર, મેં મારું ટ્વીટ ડિલીટ કરી દીધુ છે. મને ખબર નથી પડતી કે આવા ફેક ન્યૂઝ ફેલાવવાથી લોકોને શું મળે છે. હું સુમિત્રાજીને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું.”