એક દિવસ શ્રીકૃષ્ણએ એમની પત્ની રુકમિણીને જણાવ્યું કે દુર્વાસા મુનિ નદીના સામેના કિનારે આવ્યા છે. એમણે મુનિને પ્રસન્ન કરવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરવા કહ્યું. રુકમિણી ભોજન તૈયાર કરીને નદીએ ગયાં પણ ત્યાં નદી પાર કરાવવા કોઈ નાવ કે નાવિક નહોતા.
રુકમિણીએ શ્રીકૃષ્ણની મદદ માંગી. શ્રીકૃષ્ણએ રુકમિણીને કહ્યું કે નદીને જઈને કહો, “નિત્ય બ્રહ્મચારી કૃષ્ણએ રસ્તો કરી આપવા કહ્યું છે”. રુકમિણીને ખુબ જ નવાઈ લાગી કે શ્રીકૃષ્ણ તો પરણેલા છે અને કુટુંબ વાળા છે તો તેઓ નિત્ય બ્રહ્મચારી કેવી રીતે કહેવાય? છતાંય એમણે નદીને જઈને શ્રીકૃષ્ણએ કહ્યા મુજબ કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો.
રુકમિણી દુર્વાસા મુનિ પાસે ગયાં અને એમને ભોજન કરાવ્યું. મુનિએ પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા. રુકમિણીએ પાછા ફરતી વખતે નદી પાર કરવા માટે દુર્વાસાની મદદ માંગી. દુર્વાસાએ એમને કહ્યું કે નદીને જઈને કહો, “નિત્ય ઉપવાસી દુર્વાસાએ રસ્તો કરી આપવા કહ્યું છે”. રુકમિણીને ખુબ જ નવાઈ લાગી કે હજી હમણાં જ મુનિએ આટલું ભોજન કર્યું છે છતાં પોતાને નિત્ય ઉપવાસી કેમ કહે છે?
એમણે મુનિને કાંઈ જ પૂછ્યું નહીં અને એમના કહ્યા મુજબ નદીને કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો. રુકમિણીને ઘણી જ જીજ્ઞાસા થઇ. નદી પાર કરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચીને રુકમિણીએ એમને પૂછ્યું, “તમે પોતે પરણેલા અને કુટુંબ વાળા છો છતાં પોતાને નિત્ય બ્રહ્મચારી કહો છો. દુર્વાસા મુનિ ભરપેટ ભોજન કર્યા પછી પોતાને નિત્ય ઉપવાસી કહે છે. નદીએ આ બંને વાત સ્વીકારીને મને રસ્તો પણ કરી આપ્યો. મને તો કાંઈ સમજાતું નથી”.
શ્રીકૃષ્ણ હસી પડ્યા. એમણે રુકમિણીને કહ્યું, “અમે બંને આત્મજ્ઞાની છીએ. અમે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે જાણીએ છીએ કે એ કાર્ય તો શરીર કરે છે. આત્મા તો સદા અનાસક્ત છે – આત્મા કોઈ કાર્યથી બંધાતો નથી. કોઈ પણ કાર્ય કરતી વખતે દુર્વાસા અને હું સાવ જ અનાસક્ત હોઈએ છીએ. અમે મનથી ક્યારેય એ કાર્ય સાથે બંધાતા નથી. એટલે જ હું નિત્ય બ્રહ્મચારી છું અને દુર્વાસા નિત્ય ઉપવાસી છે”.
આપણે જો આ મહાન સત્ય સમજી શકીએ તો આપણે સુખી અને સંતોષી જીવન જીવી શકીએ.
આ પણ વાંચો:અજય માકન રાજસ્થાનના ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરશે,સોનિયા ગાંધીએ આપ્યા નિર્દેશ
આ પણ વાંચો: પિતા કરી શકે છે દીકરી સાથે લગ્ન, અહીં મહિલાઓ માટે છે ખૂબ જ ભયાનક કાયદો