દિલ્લી,
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ભારતની ૩ દિવસની મુલાકાતે છે. શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી તેમજ તેઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રુહાની વચ્ચે ડેલિગેશન લેવલની ચર્ચા યોજાઈ હતી. આ દ્વિપક્ષીય ચર્ચામાં બને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, મુડી રોકાણ અને ઉર્જા જેવા ક્ષેત્રમાં સહકાર અંગે ૯ મહત્વના કરારો થયા હતા.
બને દેશો વચ્ચેના ૯ મહત્વના કરારો થયા બાદ પીએમ મોદીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાબહાર પોર્ટ માટે તમે પૂરા પાડેલા નેતૃત્વ બદલ ભારત તમારો આભાર વ્યક્ત કરે છે. આજે જે કાઈ પણ સમજૂતી સધાઈ છે તે છેલ્લાં કેટલાક સમયમાં સધાયેલી પ્રગતિનું પરિણામ છે. હું બે વર્ષ અગાઉ ઈરાન ગયો હતો અને દ્વિપક્ષીય મુલાકાત માટે રોડમેપ તૈયાર કર્યો હતો.
બંને દેશોના ઘનિષ્ઠ સંબંધોનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, બંને દેશો પરસ્પરના સહયોગને વધુ વેગવાન બનાવવાની ઈચ્છા ધરાવે છે. ઉર્જા ક્ષેત્ર તેમજ સદીઓ જૂના પરસ્પરના સહયોગને વેગવાન બનાવવા માટે પણ બંને દેશો ઈચ્છુક છે.
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હું અહીના લોકો અને સરકારનો આભાર માનું ચુ. બને દેશો વચ્ચે વેપાર, સંબંધ ખુબ આગળ છે. પરિવર્તન અને અર્થવ્યવસ્થા આ બંને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અમારો અભિપ્રાય એક જ છે. અમે બંને દેશો વચ્ચે રેલ્વે સંબંધો શરુ કરવા માંગીએ છીએ તેમજ આ વિકાસમાં ચાબહાર પોર્ટ પણ સામેલ છે.
ભારત અને ઈરાન વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરાર :
- ચાબહાર પોર્ટના પહેલા ફેઝ માટે કરાર
- ટ્રેડિશનલ સિસ્ટમ અને મેડિસિનમાં સહયોગ માટે કરાર
- પરસ્પર વેપાર વધારવા માટે કરાર
- પોસ્ટલ સહયોગ માટે એમઓયુ
- ડબલ ટેક્સેશન અને ટેક્સ સેવિંગ માટે પૈસા બહાર મોકલવા રોકવા માટે કરાર
- એગ્રીકલ્ચર અને તે સાથે જોડાયેલા સેક્ટરમાં સહયોગ માટે કરાર
- સ્વાસ્થ્ય-દવાઓના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કરાર
- ડિપ્લોમેટિક પાસ્ટપોર્ટધારકોને વીઝામાં છૂટ માટે એમઓયુ
- પ્રત્યાર્પણ સંધિ લાગુ કરવા માટે કરાર