કોરોનાની બીજી લહેર ઘાતક છે ત્યારે બીજાે ભયાનક રોગે લોકોને ભરડામાં લઇને દહેશતનો માહોલ પેદા કરી દીધો છે. વડોદરાન સયાજી હોસ્પિટલમાં નવા 11 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 8 દર્દીઓ સાથે કુલ આંક 266 પર પહોંચ્યો છે જ્યારે એસએસજીમાં 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. 7 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. તેમજ સારવાર લઈ રહેલા 3 દર્દીના મોત થયા હતા.સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 7 તથા 18 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. 2 દર્દીઓની સર્જરી કરી આંખો કાઢી નાખવામાં આવી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસીસના કારણે એસએસજી હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા. જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી હતી.
શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસીસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓનો કુલ આંક 266 ઉપર પહોંચ્યો હતો.