નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે અર્જુન એવોર્ડ માટે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના નામ પ્રસ્તાવિત કર્યા છે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પસંદ કરવામાં આવેલી સંચાલકોની સમિતિએ મહાપ્રબંધક સબા કરીમ સાથે બેઠક કરી હતી.
કરીમે સીઓએને આ ખેલાડીઓના નામનું સૂચન કર્યું હતું. બુમરાહ ભારતીય ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે અને આગામી વિશ્વકપમાં ટીમની બોલિંગનું પણ નેતૃત્વ કરશે. શમી પણ વિશ્વકપની ટીમમાં સામેલ છે અને શમીએ થોડાક સમય પહેલા વનડે ટીમમાં દમદાર રીતે કમબેક કર્યું છે.
લાંબા સમયથી માત્ર ટેસ્ટ ટીમમાં જ રમનાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ આગામી ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. મહિલા ટીમની પૂનમે પણ દમદાર પ્રદર્શન કર્યું છે. તે ગત મહિલા વિશ્વકપમાં સામેલ હતી.