નવી દિલ્લી
દેશનાં સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ એવોર્ડ ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ને લઇને વિવાદ ઊભો થયો છે. ગૉલ્ડ કૉસ્ટ કૉમનવેલ્થ ગેમ અને જકાર્તા એશિયન રમત-ગમતમાં ગૉલ્ડ મેડલ જીતનાર સ્ટાર રેસલર બજરંગ પુનિયાનાં પોઇન્ટ્સ વધારે હોવા છતા તેને એવોર્ડ મળ્યો નથી.
એક રીપોર્ટ અનુસાર ખેલ રત્ન મેળવવાની રેસમાં અન્ય 6 ખેલાડીઓ હતા જેમનું ટોટલ ચાનૂથી વધારે હતુ. પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ 80-80 પૉઇન્ટ્સ સાથે સૌથી વધારે પૉઇન્ટ્સ મેળવ્યા હતા. ગુરૂવારે બજરંગ પુનિયાએ કહ્યું કે, “સૌથી વધારે પરફોર્મન્સ પૉઇન્ટ્સ હોવા છતા એવોર્ડ માટે મારુ નામ નજરઅંદાજ કરવામાં આવ્યું.” બજરંગ પુનિયા શુક્રવારે કૉર્ટમાં જશે.
સરકારે આ એવોર્ડ સંયુક્તરૂપે ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂને આપવાનો નિર્ણય કર્યો છે. કોહલીને 0 પૉઇન્ટ્સ મળ્યા હતા, જ્યારે મીરાબાઈ ચાનૂને 44 પૉઇન્ટ્સ મળ્યા હતા. આખરે 11 સભ્યોની સિલેક્શન પેનલે આ વર્ષનો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર તેમને આપવાની જાહેરાત કરી છે. ધ્યાન ખેંચનારી વાત એ છે કે કોહલીની પરફોર્મન્સ શીટમાં કોઈ પૉઇન્ટ્સ નહતો, કેમકે ક્રિકેટ માટે કોઇ માપદંડ તૈયાર કરવામાં આવ્યા નહતા.
તમને જણાવી દઈએ કે, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર જીતનાર ખેલાડીઓને ૭.૫ લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. જયારે બીજા પુરસ્કાર એટલે કે અર્જુન, દ્રોણાચાર્ય અને ધ્યાનચંદ એવોર્ડ જીતનારને પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.