નવી દિલ્હી,
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, ત્યારે હવે આ સ્ટાર ઓલરાઉન્ડરની કપિલ દેવ સાથે કરવામાં આવી રહેલી તુલનાઓ અંગે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
સુનિલ ગવાસ્કરે કપિલ દેવ અને હાર્દિક પંડ્યા વચ્ચેની તુલનાને બકવાસ કહેતા જણાવ્યું, “પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ ૧૦૦ વર્ષમાં એકવાર જન્મ લેનારા ક્રિકેટર છે અને કોઈ પણ સાથે તેઓની તુલના થઈ શકે એમ નથી.
કેટલાક નિષ્ણાતો દ્વારા આ બંને ક્રિકેટરોની તુલના અંગે તેઓએ જણાવ્યું, “કપિલ દેવની તુલના ન કરવી જોઈએ. તેઓ એક પેઢીમાં એકવાર જન્મ લેનારા ખેલાડી નથી, પરંતુ ૧૦૦ વર્ષમાં એકવાર જન્મ લેનારા ક્રિકેટર છે, જેવા કે સર ડોન બ્રેડમેન અને સચિન તેંડુલકર. અમારે તેઓની તુલના કોઈની સાથે ન કરવી જોઈએ”.
આ ઉપરાંત ગવાસ્કર ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઓપનર બેટ્સમેન શિખર ધવનના વલણથી પણ નારાજ છે. ભારતીય કેપ્ટને ધવન અંગે જણાવ્યું, “શિખર પોતાની રમતમાં બિલકુલ પણ ફેરફાર કરવા માંગતા નથી. તેઓનો વિશ્વાસ એ જ પ્રમાણે રમતમાં છે, જે પ્રમાણે તેને અત્યારસુધીમાં સફળતા અપાવી છે.
તેઓએ વધુમાં કહ્યું, “તમે વન-ડેમાં આ પ્રકારના શોટ રમી શકો છો, કારણ કે આ ફોર્મેટમાં સ્લિપમાં ફિલ્ડર ઓછા હોય છે. પરંતુ ટેસ્ટ મેચમાં આ પ્રકારનો શોટ માત્ર વિકેટ ગુમાવવું જ હશે. ખેલાડીઓ જ્યાં સુધી માનસિક રૂપથી ફેરફાર નહિ કરે, ત્યાં સુધી વિદેશમાં લાલ બોલ પાસે તેઓને મુશ્કેલી જ રહેશે”.
મહત્વનું છે કે, શિખર ધવને ઈંગ્લેંડ સામે બર્મિધમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અનુક્રમે ૨૬ અને ૧૩ રન બનાવ્યા હતા.