મેલબર્ન,
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૯૯ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમ ૨૬૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ટીમ ઇન્ડિયાએ ૧૩૭ રને વિજય હાંસલ કર્યો હતો.
આ સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ હાંસલ કરી છે. ન`બીજી બાજુ કાંગારું કેપ્ટન ટીમ પેને પોતાની ટીમને મળેલી હારનો સ્વીકાર કર્યો છે અને તેઓએ કહ્યું છે કે ટીમમાં સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીના કારણે અમે ભારતના ટોપ ક્લાસ બોલિંગ અટેકનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ત્રીજી ટેસ્ટમાં મળેલી હાર બાદ પેને કહ્યું, “આ અનુભવહીનતા છે અને દબાન છે. ભારતનું બોલિંગ આક્રમણ સંભવિત એટલું સારું છે કે અમારા બેટ્સમેનોએ બોલરોનો સામનો પોતાના કેરિયરમાં કર્યો છે”.
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટને કહ્યું, “ભારત પાસે ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી જેવા બે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે કે જેઓ ભારતીય ટીમની ઇનિંગ્સનો સ્કોર ૪૦૦ રન સુધી લઈ ગયા જયારે ઓસ્ટ્રેલિયાને સ્મિથ અને વોર્નરની કમી નડી છે”.
તેઓએ વધુમાં કહ્યું, “મને લાગે છે કે, જો ભારતીય ટીમમાંથી પુજારા અને કેપ્ટન કોહલીને ટીમમાંથી હટાવવામાં આવે તો તેઓની ટીમની હાલત પણ અમારા જેવી થશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા સામેની મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર ૧ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.