રાજકોટ,
આગામી ૪ ઓક્ટોબરથી ભારતીય ટીમ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ રાજકોટના ખંડેરી ગ્રાઉન્ડ ખાતે રમાવવાની છે, જો કે આ પહેલા કેરેબિયન ટીમને એક ઝટકો લાગ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝના ઝડપી બોલર કેમાર રોચને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું છે, કારણ કે તેઓને પોતાની નાનીના નિધનના કારણે સ્વદેશ પાછા ફરવું પડ્યું છે.
કેરેબિયન ટીમના કોચ સ્ટુઅર્ટ લોએ જણાવ્યું હતું કે, “કેમાર રોચ અત્યારસુધી ટીમ સાથે જોડાયો નથી. રોચના પરિવારમાં નિધન થઇ ગયું છે અને અને તે પ્રથમ ટેસ્ટની વચ્ચે ટીમ સાથે જોડાશે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રોચ એ ઘણા અનુભવી ઝડપી બોલર છે અને શાનદાર કૌશલ્ય છે. તેઓ અમારા નેતૃત્વનો એક ભાગ છે. પ્રથમ ટેસ્ટમાં આ મોટું નુકશાન છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેમાર રોચે ૪૮ ટેસ્ટમાં ૨૮.૩૧ના એવરેજથી કુલ ૧૬૩ વિકેટ ઝડપી છે.
ઝડપી બોલર રોચની ગેરહાજરીમાં કોચ સ્ટુઅર્ટ લોએ ગ્રેબ્રિયલ, કેપ્ટન જેશન હોલ્ડર, કીમો પોલ તેમજ હાલમાં ક્રિકેટ ટીમમાં સમાવેશ થનારા અલજારી જોસેફ પર બોલિંગ આક્રમણનો ભરોષો જતાવ્યો છે.