નવી દિલ્હી,
હાલમાં જ યુએઈમાં રમાયેલા એશિયા કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ અંગે વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો ૨૦૧૯માં રમનારા ક્રિકેટના મહાકુંભને લઈ કરાયો છે, જેમાં કહેવાયું છે કે, ભારત ૨૦૧૯નું વર્લ્ડકપમાં ચેમ્પિયન બની શકે છે.
ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ તેમજ શ્રીલંકાના મહાન ક્રિકેટરમાંના એક કુમાર સંગાકારાએ ભારતીય ટીમને ઈંગ્લેંડમાં રમનારા આગામી વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાવી છે.
સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું હતું કે, “માત્ર ભારતીય ટીમને ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની ઇન્જરી પર ખાસ ધ્યાન આપવું પડશે. ભારતને ૨૦૧૯ વર્લ્ડકપ માટે ભુવી અને બુમરાહ સિવાય અન્ય ઝડપી બોલર તૈયાર કરવા પડશે.
ફ્લેમિંગે વધુમાં જણાવ્યું હતું કે, “વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા વન-ડેમાં હંમેશા ફોર્મમાં રહ્યા છે. એમ એસ ધોની પણ મોટી ટુર્નામેન્ટમાં સારું પરફોર્મન્સ આપી રહ્યા છે. આ ઉપરાંત કેદાર જાધવ અને દિનેશ કાર્તિક પણ સારા બેટ્સમેન છે. આ જોતા ટીમ ઇન્ડિયા ખુબ જ મજબૂત નજર આવી રહી છે.
આ ઉપરાંત શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ જણાવ્યું, “મને નથી લાગતું કે ૨૦૧૯ વર્લ્ડકપ સુધી ભારતને વધુ પરિવર્તન કરવાની કોઈ જરૂરત છે. તેઓ પાસે એમ એસ ધોની જેવો અનુભવી ખેલાડી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન સતત શાનદાર રમત બતાવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાને માત્ર નંબર ૪ માટે સારા ખેલાડીની જરૂરત છે”.
તેઓએ વધુમાં ઉમેર્યું, “હાદિક પંડ્યા ઓલરાઉન્ડરના રૂપમાં ભારતીય ટીમ માટે ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે”.
મહત્વનું છે કે, ઈંગ્લેંડમાં રમાનારા ૨૦૧૯ના ક્રિકેટ મહાકુંભને હાલ આઠ મહિના જેટલો સમય બાકી છે અને આ પહેલા ભારતીય ટીમને વિદેશમાં બે વન-ડે સિરીઝ પણ રમવાની છે”.