અમદાવાદ: ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બેગણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પમાં રાજ્ય સરકાર દ્વારા એક પગલું આગળ વધી છે. જેના અંતર્ગત CM વિજય રૂપાણી દ્વારા આજે શનિવારે સ્કાય સૂર્યશક્તિ કિસાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાને સમગ્ર દેશમાં સૌ પ્રથમ અમલમાં મુકવાનું શ્રેય ગુજરાતના ફાળે આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજના અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો બાવડાના જોરે અને પરિશ્રમની પરાકાષ્ઠા થાકી ધરતીમાંથી સોનું ઉગાડવાની તાકાત ધરાવે છે. સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી, પાણી, ખાતર તેમજ આધુનિક કૃષિ જ્ઞાન અને માહિતી પૂરી પાડવામાં આવી છે. જેના થકી ગુજરાતે કૃષિ વિકાસનો દર બે આંકડા (ડબલ ડિજિટ)માં પહોંચાડ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેતી વપરાશ માટેની ઉર્જા ઉત્પાદનમાં વધારો કરવા માટે સૂર્યશક્તિનો ઉપયોગ કરવામાં આવશે. આ સૂર્યશક્તિ મારફત ઉત્પન થતી વીજળીના વેચાણ દ્વારા તેમજ વધુ સિંચાઈથી ખેડૂતોને આર્થિક સમૃદ્ધિના માર્ગ તરફ લઈ જવા માટે આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે.
આ સૂર્યશક્તિ કિસાન યોજના અંતર્ગત ખેડૂતે પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે કુલ ખર્ચના માત્ર પાંચ ટકાની રકમ જ ભરવાની રહેશે. જયારે બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસીડી પેટે ચૂકવવામાં આવશે. આ યોજનાથી રાજયના ખેડૂતોને સોલાર પાવર (સૌર ઉર્જા) મારફત દિવસના સમયે વીજળી અને પાણી બંને મળી રહેશે. જેના કારણે ખેડૂતોને રાત્રે મળતી વીજળીનો પ્રશ્ન દૂર થઈ શકશે.
આ સૂર્યશક્તિ યોજનાનો લાભ લેવા માટે જે ખેડૂત મૂડી રોકાણ કરશે તે રકમ તેને વધારાની વીજળીના વેચાણ દ્વારા આઠથી ૧૮ માસમાં જ પરત મળી જશે. એટલું જ નહિ આ સૌર ઉર્જાના કારણે ખેડૂતને તેના ખેતરમાં દિવસે પણ પાણી મળતું થશે અને ૧૨ કલાક વધારાની વીજળી મળશે અને તેની પાસે રહેલી વધારાની વીજળીને વેચીને કમાણી પણ કરી શકશે.