નવી દિલ્હી,
આગામી વર્ષે ઈંગ્લેંડમાં વર્લ્ડકપ રમાવવાનો છે, ત્યારે આ પહેલા રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભારતીય ટીમના બે અનુભવી બોલરો ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવાની સલાહ કેપ્ટન વિરાટ કોહલી દ્વારા કરવામાં આવી છે.
જો કે કેપ્ટન કોહલીની આ સલાહને હાલ પુરતું IPLની કોઈ ટીમનો સાથ મળી રહ્યો છે ન તો મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો. ટીમ ઇન્ડિયાના આ બંને પ્રમુખ ક્રિકેટરો વચ્ચે આ મુદ્દે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
હકીકતમાં, હૈદરાબાદમાં મળેલી COA સાથેનીં બેઠકમાં વિરાટ કોહલીએ ભલામણ કરી હતી કે, ભારતીય ટીમના બે પ્રમુખ ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને IPLની પૂરી સિઝન દરમિયાન આરામ આપવામાં આવે જેથી તેઓ વર્લ્ડકપમાં સંપૂર્ણ ફીટ રહી શકે.
વિરાટ કોહલીના આ પ્રસ્તાવને હાલમાં કોઈ ટીમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. આ બેઠકમાં ઉપસ્થિત બોર્ડના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે, “IPL ૨૯ માર્ચથી શરુ થઈને ૧૯ મેના રોજ સમાપ્ત થવાની છે. ભારતને વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ ૫ જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે, ત્યારે આ વચ્ચે ૧૫ દિવસનું અંતર છે. આ જોતા આ બંને ઝડપી બોલરોને IPLમાં આરામ આપવાની શક્યતા નહીવત છે.
બીજી બાજુ આ બેઠકમાં ઉપસ્થિત ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ પણ વિરાટ કોહલીના આ પ્રસ્તાવ સાથે સહમત નથી.
રોહિત શર્મા એ કહ્યું હતું કે, “જો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ IPLના પ્લેઓફમાં પહોચે છે અને બુમરાહ ફીટ રહેશે છે, તો તેઓ આ સ્ટાર ઝડપી બોલરને આરામ આપી શકતા નથી”.