નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી બે વર્ષ પહેલા એટલે કે ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ દેશભરમાં અચાનક જ નોટબંધી જાહેર કરવાની ઘોષણા કરી હતી. પીએમ મોદીના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ ભારતને કેશલેસ ઈકોનોમી તરફ આગળ વધારવાનો હતો.
જો કે આ નોટબંધી લાગુ કરાયા બાદ બે વર્ષમાં ભારત કેશલેશ ઈકોનોમી તરફ કેટલો આગળ વધ્યો છે તેને લઈ ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.
આ આંકડા પોતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જ જાહેર કરવામાં આવ્યા છે. RBIના આ આંકડા જોતા લાગે છે કે, છેલ્લા બે વર્ષમાં ભારતમાં કેશલેશ ઈકોનોમી તરફ કોઈ ચોક્કસ રીઝલટ પ્રાપ્ત થયું નથી અને ભારત હજી પણ કેશકિંગ જ છે.
RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૬ની રાત્રે ૧૭.૦૧ લાખ કરોડ રૂપિયાનું કેશ ચલણમાં હતું, જયારે બે વર્ષ બાદ આજે ૧૮.૭૬ લાખ કરોડ રૂપિયાનું કેશ ચલણમાં છે.
આ આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે, હજી પણ દેશમાં કેશની ડિમાંડ ઓછી થઇ નથી અને લોકો આજે પણ કેશ રૂપિયાનો જ વધુ ઉપયોગ કરે છે.
વર્ષ ૨૦૧૬ની વાત કરવામાં આવે તો, ચલણની મુદ્રાની ભાગેદારી ૧૭.૭ ટકા હતી, પરંતુ ૨૦૧૮માં તે વધીને ૨૨.૨ ટકા થઇ ગયું છે.
બીજી બાજુ, ભારત ભલે કેશકિંગ કહેવતો હોય પરંતુ, ડીજીટલ ટ્રાંજકેશનમાં થોડો ઘણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં NEFT વોલ્યુમ ૧.૨૫ લાખ કરોડ રૂપિયા હતું, જે ૨૦૧૭-૧૮માં તે ૫૦ ટકા વધ્યું છે. આ વધારા સાથે જ NEFT વોલ્યુમ ૧.૯૫ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.
જયારે IPMS ટ્રાંજકેશનમાં પણ ૫ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં તે ૨૨,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને ૧ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.
ડેબિટ, ક્રેડિટ અને પ્રિપેડ વોલેટની વાત કરવામાં આવે તો, આ વોલેટમાં ૨૩૬ ટકાનો વધારો થયો છે. જે પહેલા આ પ્રકારે લેણદેણ ૪.૪૮ લાખ રૂપિયા થઇ હતી, જે હવે વધીને ૧૦.૬ લાખ કરોડ રૂપિયા થઇ ગઈ છે.
આ ઉપરાંત RTGS ટ્રાંજકશનમાં ૪૧ ટકાનો વધારો થયો છે. RTGS દ્વારા થતી લેણદેણ હવે ૮૨૪ લાખ કરોડ રૂપિયાથી વધીને ૧૧૬૭ લાખ કરોડ ઉપર પહોંચી ગઈ છે.
આ જ પ્રમાણે નોટબંધી બાદ લોકો વચ્ચે ડીજીટલ ટ્રાંજકેશનને લઈ જાગરૂકતા ફેલાઈ છે. આ જ પરિણામ છે કે, નોટબંધીના બે વર્ષ બાદ કેશલેસ લેણદેણમાં ઘણો વધારો થયો છે.