દુબઇ
રૂપેરી પડદાની રાણી શ્રીદેવીનું દુબઇમાં બાથટબમાં પડી જવાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યા બાદ તેમના ચાહકોમાં અનેક શંકા-કુશંકા જોવા મળી રહી છે.જો કે શ્રીદેવીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના મોતને આકસ્મિક ગણાવ્યું છે,છતાં લોકોના મનમાં શંકાનો કીડો ફર્યા કરે છે.દુબઇ પોલિસે પણ શ્રીદેવીના પતિ બોની કપુરનું નિવેદન લેવાની તૈયારી કરી છે.
દુબઇના જાણીતા અખબાર ખલીજ ટાઇમ્સ પ્રમાણે 24 ફેબ્રુઆરી શનિવારે બોની કપુર દુબઇથી પરત ફરીને મુંબઇ પહોંચ્યા હતા.જો કે એ પછી શ્રીદેવીને સરપ્રાઇસ આપવા માટે તે ફરી પાછા દુબઇ પરત ફર્યા હતા.દુબઇમાં શ્રીદેવી જુમૈરા અમીરાત ટાવર્સ હોટલમાં રોકાઇ હતી.બોની કપુર શ્રીદેવીને આ હોટલના રૂમમાં મળ્યા હતા.બોની કપુર પહોંચ્યા ત્યારે શ્રીદેવી સુતી હતી અને તેમણે તેને જગાડી હતી.બંનેએ લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી હતી.
એ પછી બોની કપુર સાથે ડીનર પર જતા પહેલાં શ્રીદેવી બાથરૂમમાં ગઇ હતી.
બાથરૂમમાંથી 15 મિનિટ સુધી બહાર ના આવતા બોની કપુરે દરવાજો ખખડાવ્યો હતો,જો કે અંદરથી કોઇપણ પ્રકારનો અવાજ નહીં આવતા બોનીએ ગમે તે રીતે દરવાજો ખોલી કાઢ્યો હતો.
દરવાજો ખોલતા બોનીએ જોયું કે શ્રીદેવી પાણી ભરેલાં ટબમાં બેહોશ પડી હતી.બોનીએ શ્રીદેવીને હોશમાં લાવવાની ભરપુર કોશિશ કરી પરંતું તેમાં સફળતા નહીં મળતા તેમણે એક મિત્રને બોલાવ્યો હતો.બોનીએ આ બનાવની જાણ રાતે 9 વાગ્યે પોલિસને પણ કરી હતી.જો કે પોલિસ પહોંચે તે પહેલા શ્રીદેવી અલવિદા લઇ ચુકેલાં.
શ્રીદેવીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે તેમનું મોત ‘આકસ્મિક રીતે ડુબી’ જવાને કારણે થયું છે.આ રિપોર્ટ પ્રમાણે શ્રીદેવીના શરીર પરથી આલ્કોહોલના પણ નિશાન મળ્યાં છે.
દુબઇ પોલિસે હવે શ્રીદેવીના મોત પર તપાસ શરૂ કરી છે.મંગળવારે પોલિસ બોની કપુરની નિવેદન નોંધશે અને એ પછી જો તેમને યોગ્ય લાગશે તો પોલિસ ક્લીયરન્સ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે.શ્રીદેવીનો મૃતદેહ પોલિસ ક્લીયરન્સ સર્ટિફિકેટ મેળવ્યા પછી જ ભારત લાવી શકાશે.