ગુજરાત માર્ગ વાહનવ્યવહાર નિગમમાં મહેકમ મુજબ અનેક જગ્યાની ઘટ વર્તાય છે. એસટી નિગમ સંચાલિત બસના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવતાં એસટી કર્મચારીઓની ઘટના કારણે એસટી નિગમનો ટ્રાફિક ઓછો થયો છે.દરમિયાન ખાલી રહેલું મહેકમ ભરવામાં આવે તો નિગમની આવક પણ વધી શકે છે.
ગુજરાત માર્ગ વાહનવ્યવહાર સંચાલિત બસનું સંચાલન સુપેરે કરવા એસટી નિગમ પ્રયાસ કરે છે. પરંતુ વર્તમાન સમયમાં એસટીબસ અને વર્કશોપમાં ફરજ બજાવતાં કર્મચારીઓની ભરતીમાં નિયત મહેકમ કરતાં ઓછું મહેકમ હોવાથી બસ સંચાલન પર પણ વિપરિત અસર થઇ છે. પરિણામે એસટીના ટ્રાફિક પર અસર જોવા મળે છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એસટી નિગમ દ્વારા મંજૂર કરવામાં આવેલા મહેકમના પ્રમાણમાં ભરતી થયેલાં મહેકમમાં મોટો તફાવત છે. પરિણામે મંજૂર મહેકમની ભરતી કરવાની માંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
કર્મચારીની ઘટ હોવાના પગલે એસટીના સંચાલન પર તેની અસર વર્તાય છે અને નિગમની આવક પર પણ અસર થાય છે. નિગમની આવક વધે તો પ્રવાસીઓને સારી સુવિધા પણ આપી શકાય એમ છે. આ સંજોગોમાં મંજૂર થયેલું મહેકમ ભરતી કરવામાં આવે તો તેનો લાભ નિગમ , કર્મચારીઓ અને પ્રવાસીઓને પણ મળી શકે છે.