કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાતા ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા છે. ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રમાં મેધા પાટકરનો સમાવેશ જ કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવે છે. મેધા પાટકર નર્મદા વિરોધી હતા. આજે રાહુલ ગાંધીએ નર્મદા વિરોધીને તેમની ભારત જોડો યાત્રામાં સ્થાન આપ્યું છે. ગુજરાતના વિકાસના વિરોધીને ગુજરાત ક્યારેય સહન નહી કરે.
તેમણે આકરા પ્રહારો જારી રાખતા જણાવ્યું હતું કે વાસ્તવમાં રાહુલ ગાંધીની યાત્રા તે વિકાસ વિરોધી અને અર્બન નક્સલી સાથેની ભારત તોડો યાત્રા છે. મેધા પાટકરને સાથે રાખીને કોંગ્રેસે ફરીથી તેની ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવી છે. આ દર્શાવે છે કે ગુજરાતના વિરોધીને રાહુલ ગાંધીનું સમર્થન છે. ગુજરાતમાં નર્મદા યોજનામાં વિલંબ થયો તેમાં મેધા પાટકરનો સિંહફાળો હતો તેને ગુજરાત કેવી રીતે ભૂલશે. મેધા પાટકર જેવા લોકોના લીધે એક સમયે વડાપ્રધાન નેહરુએ પાયો નાખ્યો ત્યારે 500 કરોડની જે યોજના હતી તે પૂરી થઈ ત્યારે 55000 કરોડે પહોંચી તો તેના માટે જવાબદારી આ મેધા પાટકર જેવા લોકોની છે.
મેધા પાટકર જેવા લોકોએ હંમેશા ગુજરાતની વિકાસયાત્રામાં અવરોધ સર્જયો છે. આજે તેઓ ગુજરાતની સાથે છે. આ બાબત કોંગ્રેસની ગુજરાત વિરોધની માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે. કોંગ્રેસ આવા ગુજરાત વિરોધીઓને જોડે રાખીને કયા આધારે ગુજરાતની પ્રજા પાસે મત માંગશે. મેધા પાટકર જેવા લોકોના લીધે ગુજરાતની પ્રજાને તરસ્યા રહેવાનો સમય આવ્યો હતો. ગુજરાત વિરોધીઓને ખોળે લેવા જાણે કોંગ્રેસની માનસિકતા થઈ ગઈ છે. આ જ પ્રકારની વિકાસવિરોધી માનસિકતાના લીધે કોંગ્રેસે ફક્ત ગુજરાત જ નહી બધેથી સત્તા ગુમાવી છે. વિકાસ તે કોઈપણ પ્રજાની સ્વાભાવિક જરૂરિયાત છે. કોંગ્રેસ આ જરૂરિયાતને જ રૂંધી રહી છે અને તે લોકો સમક્ષ જે ટુકડા ફેંકે તેને વિકાસ કહે છે.
આ પણ વાંચો