બે વર્ષના ગાળા બાદ ફરી એકવાર તૃણમૂલ કોંગ્રેસનો પરિચિત કાર્યક્રમ તૈયાર છે. 21 જુલાઈએ ‘શહીદ દિવસ’ના આ કાર્યક્રમમાં મમતા બેનર્જી પાર્ટી 2024 માટે હુંકારો ભરશે. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસ 1998 થી સતત આ રાજકીય કાર્યક્રમ કરી રહી છે. જો કે છેલ્લા બે વર્ષથી કોવિડ પ્રોટોકોલના કારણે આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. ફિરહાદ હકીમે કહ્યું કે અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે મમતા બેનર્જી અમને જણાવે કે 2024ની સામાન્ય ચૂંટણી કેવી રીતે લડવામાં આવશે. તેમણે કહ્યું કે આ વર્ષ વધુ ભાવનાત્મક છે કારણ કે તે બે વર્ષ પછી થઈ રહ્યું છે.
ભાજપ વિરુદ્ધ ‘જેહાદ દિવસ’
ભાજપે સાધ્યું નિશાન
એક તરફ આ કાર્યક્રમને લઈને ટીએમસીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દેશના ખૂણેખૂણેથી હજારો પાર્ટી સમર્થકો કોલકાતા પહોંચી રહ્યા છે. પાર્ટી તરફથી આ સમર્થકોના રોકાવા માટે વિવિધ સ્ટેડિયમ અને અન્ય સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીના આ કાર્યક્રમ પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા અને બંગાળ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે શાસક પક્ષે રાજકીય કાર્યક્રમને સરકારી કાર્યક્રમ બનાવી દીધો છે. તેમણે કહ્યું કે પોલીસ અને વહીવટીતંત્રને ગોઠવી દેવામાં આવ્યા છે. સુવેન્દુ અધિકારી અહી અટક્યા નથી. તેમણે કહ્યું કે હું ગ્રામીણ બંગાળના લોકોને કહેવા માંગુ છું કે તેઓ તેમના પશુઓને ખેતરમાં ચરવા માટે છોડી શકે. તમે તમારા કપડાં બહાર સૂકવી શકો છો, કોઈ તેને ચોરી કરવા આવશે નહીં. કારણ કે, તમામ બદમાશો 21મી જુલાઈએ કોલકાતામાં હશે.
અંદાજિત 10 લાખ લોગો થશે ભેગા
ટીએમસીના નેતાઓના જણાવ્યા અનુસાર આ રેલીમાં 10 લાખ લોકો એકઠા થવાની આશા છે. કોલકાતાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ભીડને નિયંત્રિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈના રોજ મુખ્યમંત્રી મમતા બેનર્જીના આવાસમાં પ્રવેશવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત રહેશે. ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે હાવડા અને સિયાલદહ સ્ટેશનથી બે મોટા સરઘસ કાઢવામાં આવશે. આ ઉપરાંત શહેરના અન્ય સ્થળોએથી શોભાયાત્રાઓ રેલીના સ્થળે પહોંચશે.
તૈયારીઓ પૂર્ણ
રેલી સ્થળ પર ઘણી વિશાળ ટીવી સ્ક્રીનો પણ સ્થાપિત કરવામાં આવશે જેથી સમર્થકો મમતા બેનર્જીને લાઇવ જોઈ અને સાંભળી શકે. આ સમય દરમિયાન ઘણી શાળાઓએ તેમના વિદ્યાર્થીઓને અરાજકતાથી બચાવવા માટે રજા જાહેર કરી છે. રાજ્યના આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગો પર સ્થિત સરકારી વિભાગોમાં મેડિકલ ટીમો તૈનાત કરવાની સૂચના આપી છે. આ સાથે બ્લડ બેંકોમાં પૂરતું લોહી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. દરમિયાન, કલકત્તા હાઈકોર્ટે એક પીઆઈએલને ફગાવી દીધી છે. જેમાં કોવિડ 19ને ધ્યાનમાં રાખીને રેલી રદ કરવાની માંગ કરવામાં આવી હતી.