છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય એવું જણાઈ રહ્યું છે. મહિલાઓ સાથેના અત્યાચારો પણ દિવસેને દિવસે સુરતમાં વધી રહ્યા છે. ત્યારે શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં એક ડોક્ટર દ્વારા એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી વિગતો મુજબ, સુરત શહેરમાં આવેલી મી એન્ડ મમ્મી નામની જાણીતી હોસ્પિટલના ડોક્ટર પર એક પરિણીતાએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પરિણીતાએ ડોક્ટર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેણી સંતાન પ્રાપ્તિ માટે અઠવા વિસ્તારમાં આવેલા એક ગાયનેકોલોજિસ્ટને ત્યાં ગઈ હતી. જ્યાં ડોક્ટરે તેણીને સારવાર માટે પોતાની કેબિનમાં બોલાવી હતી.
મહિલાને કેબિનમાં બોલાવી, ડોક્ટરે તેણીનું શારીરિક શોષણ કર્યું હતું. આટલેથી જ ના અટકતા, ડોકટરે તેણીને ઇન્જેક્શન મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલા ડરી જતા, તેણી હોસ્પિટલથી ચુપચાપ નીકળી ગઈ હતી. ત્યારબાદ ઘરે પહોંચતા તેણીએ તેના પતિને ડોક્ટરના કરતૂતો વિષે જણાવ્યું હતું. ત્યારબાદ પતિએ મહિલાને હિમ્મત આપતા, તેણીએ ડોક્ટર સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
પીડિત મહિલાએ જણાવ્યું કે ડોકટરે તેણીને 11 વાગે તપાસ માટે બોલાવી હતી. ત્યારબાદ ડોકટરે નર્સને ઇન્જેક્શન લગાવવા કહ્યું હતું. નર્સે મહિલાને ઇન્જેક્શન લગાવી દેતા, ડોક્ટરે તેને બહાર મોકલી. ત્યારબાદ ડોક્ટરે મહિલાને શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી,તેમજ ધમકી આપી હતી કે જો તેણી આના વિષે કોઈને પણ જણાવશે તો તેણીને જાનથી મારી નાખશે.
મહિલા દ્વારા મોડી રાત્રે શહેરની જાણીતી હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મહિલાની ફરિયાદના આધરે પોલીસે ડો. પ્રફુલ દોશી સામે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ નરાધમ ડોક્ટરે બીજી કોઈ મહિલા સાથે પણ આવું દુષ્કર્મ આચર્યું તો નથીને તેની પણ તપાસ હાથ ધરી છે.