નવસારી,
નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશના બે બાઇક ચોરોને ઝડપી લીધા છે. આરોપીઓએ રાજયમાં 28 બાઈકની ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ક્વોર્ડનો સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે વિરવલ જકાતનકા પાસે એક નંબર વગરની બાઇક ઉપર આવેલા બે ઇસમોને અટકાવી પૂછપરછ કરતાં બાઇક ચાલક નાનસિંગ હૈદરસિંગ ચૌહાણ અને પાછળ બેઠેલો શૈલા ઉર્ફે શૈલેષ છગન ચૌહાણ હોવાનું જણાયુ હતું.
જ્યારે બંને પાસે બાઈકના કોઈ દસ્તાવેજો ન મળતા પોલીસે બાઇક ચોરીનું હોવાના અનુમાન સાથે બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં પકડાયેલી બાઇક દોઢ મહિના અગાઉં શહેરના સીઆર પાટીલ સંકૂલમાથી ચોરી કરી હોવાનું ખૂલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત 27 ઓગસ્ટના રોજ ટાઉન પોલીસે આરોપી શૈલેષ ચૌહાણને શંકાના આધારે ઉઠાવ્યો હતો અને છોડી પણ મુક્યો હતો.
સર્વેલન્સ સ્ક્વોર્ડના જવાનોને મળેલી બાતમીના આધારે વિજલપોરના વિઠ્ઠલ મંદિર આગળ આંબાવાડી ખાતે રહેતા શૈલા ઉર્ફે શૈલેષ છગન ચૌહાણ તથા અન્ય બે ઇસમોની શંકાના આધારે પૂછપરછ કરી હતી.
પુછપરછમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના છટીવેગલ ગામે રહેતા નાનસિંગ હૈદર્સિંગ ચૌહાણે બાઇકની લે-વેચ કરતો હોવાની અને તેના ઘરના વાડામાં અમુક વાહનો મૂકી રાખ્યા હોવાનું જણાવ્યુ હતું.
જેથી પોલીસે એમપીના અલીરાજપુરના છટીવેગલ ગામે નાનસિંગના ઘરે જઇ તપાસ કરી હતી. તપાસ દરમ્યાન કરતાં 9.38 લાખ રૂપિયાની કુલ 28 બાઈક્સ મળી આવતા તેને કબ્જે કરી નવસારી લાવ્યા હતા.