સુલેમાન ખત્રી@ મંતવ્ય ન્યૂઝ
મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત કોરોના કાળમાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવનાર બાળકોને રૂા. ૪૦૦૦ની માસિક સહાય આપવા માટેની યોજનાના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કાળ દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ૬ બાળકોને મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત માસિક રૂા. ૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે.
કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર છોટાઉદેપુરના ૬ બાળકોને માસિક રૂા. ૪૦૦૦ મળશે સહાય
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં રાજયવ્યાપી વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ જિલ્લામાં-૪ર, અમરેલી-૧૯, અરવલ્લી-ર૬, આણંદ-૩૯, કચ્છ-૩૧, ખેડા-૩૬, ગાંધીનગર-૬, ગીર સોમનાથ-૧૬, છોટાઉદેપૂર-૬, જામનગર-ર૪, જૂનાગઢ-ર૮, ડાંગના-૧૧, તાપીના-૧૭, દાહોદના-રર, દેવભૂમિ દ્વારિકાના-૧૩, નર્મદાના-૧ર, નવસારીના-૩૦, પંચમહાલ-૩૦, પાટણ-રર, પોરબંદર-૧૧, બનાસકાંઠા-ર૧, બોટાદ-૧૩, ભરૂચ-૧૯, ભાવનગર-૪ર, મહિસાગર-૯ તેમજ મહેસાણા-રર, મોરબી-૧ર, રાજકોટ-પ૮, વડોદરા-૩ર, વલસાડ-ર૬, સાબરકાંઠા-૩૬, સુરત-ર૯ અને સુરેન્દ્રનગરના-૧૬ મળી કુલ ૩૩ જિલ્લાના ૭૭૬ નિરાધાર બાળકોને સમગ્રતયા ૩૧ લાખ ૪ હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી હતી.
વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના મથકોએ ઉપસ્થિત બાળકોના પાલક વાલીઓ સંવેદનાસભર સંવાદ સાધી બાળકોના દિવંગત માતા-પિતા અંગે પૃચ્છા કરી હતી.છોટાઉદેપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરની સાથે અધિક નિવાસી કલેકટર બારિયા, સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નિનામા, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી/કર્મચારી, લાભાર્થી બાળકો અને પાલક વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.