નવી દિલ્હી,
અંગત ઈલેક્ટ્રિક કારની ખરીદી પર મળતી સબસિડી સરકાર બંધ કરવા જઈ રહી છે. તેની જગ્યાએ સરકાર ઓલા, ઉબેર જેવી કેબ સર્વિસને ઈલેક્ટ્રિક કારની ખરીદી પર રોકડ સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. દેશમાં સ્વચ્છ ઈંધણને પ્રોત્સાહન આપવાની વાતો થતી રહે છે. એવી સ્થિતિમાં સરકારનુ આ પગલુ ચોંકાવનારુ સાબિત થઈ શકે છે.
સરકારના અનેક પ્રયત્નો છતાં દેશમાં ઈલેક્ટ્રિક કારનુ વેચાણ ખૂબ જ ઓછુ રહ્યુ છે. આવી સ્થિતિમાં જો સબસિડી પણ બંધ કરી દેવામાં આવશે તો ઈલેક્ટ્રિક કારના વેચાણમાં ભારે ઘટાડો થઈ શકે છે.
સુત્રોનુ કહેવુ છે કે, ખાનગી ઈલેક્ટ્રિક કારોની ખરીદી પર અપાતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કારણકે તેનાથી ન તો કારોનુ વેચાણ વધ્યુ છે કે ન પર્યાવરણને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ્યમાં કોઈ સફળતા મળી રહી છે.
સરકારનુ માનવુ છે કે અંગત ઈલેક્ટ્રિક કારો ખરીદવાનુ લોકોનુ વલણ નથી. બીજીબાજુ કેબ સર્વિસને સબસિડી આપીને ઈલેક્ટ્રિક કાર ખરીદવા પ્રોત્સાહિત કરી શકાય તેમ છે. સરકાર અત્યારે ઈલેક્ટ્રિક કારની ખરીદી પર ૧.૩ લાખ રુપિયા સુધીની સબસિડી આપે છે. પરંતુ ઉદ્યોગ મંત્રાલયે જે નવી ડ્રાફ્ટ પોલીસી તૈયાર કરી છે તેમાં આ સબસિડી હટાવવાનો નિર્ણય કર્યો છે.
મહત્વનુ છે કે, દેશના અનેક શહેરોમાં અત્યારે પ્રદૂષણનુ સ્તર સતત વધી રહ્યુ છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપીને પેટ્રોલ-ડીઝલના ઉદ્યોગને ઘટાડી શકાય છે.
પહેલા સરકારે મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે ૨૦૩૦ સુધીમાં ભારતની કાર ઈન્ડસ્ટ્રી સંપૂર્ણરીતે ઈલેક્ટ્રિક કારમાં બદલાઈ જશે. પરંતુ હવે આ લક્ષ્યાંક પૂરો કરવો દૂરનુ સપનુ દેખાઈ રહ્યુ છે. કારણકે છેલ્લા ૧ વર્ષમાં ભારતમાં માત્ર ૧૫૦૦ ઈલેક્ટ્રિક કાર વેચાઈ છે. જેની સામે પેટ્રોલની ૩૨ લાખ કાર વેચાઈ છે.