@ધ્રુવ સોમપુરા, સુરત
સુરત શહેરમાં આજે આપઘાતની વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાધ્યાપકે ઘરમાં જ ગળેફાંસો ખાઈના આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુનિવર્સિટીના ક્વાર્ટરમાં જ રહેતા પૂર્ણચંદ્ર રાવની જિંદગીની કેમેસ્ટ્રીમાં લોચો પડતા તેણે મોતને વ્હાલું કરી લીધું છે.
બનાવની વિગત એવી છે કે યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર લાગેલા તેલંગાણાના પૂર્ણચંદ્ર રાવ કેમેસ્ટ્રીના પ્રાધ્યાપક હતા. તેઓ છેલ્લા બે દિવસથી ગુમ હોવાની માહિતીના પગલે તેમની શોધખોળ આરંભી દેવામાં આવી હતી. દરમિયાન આજે સિક્યોરિટીનો ગાર્ડ તેના ઘરે તપાસ માટે ગયો હતો.
દરમિયાન સિક્યોરિટીના ગાર્ડ ઘરનો દરવાજો ખટખટાવતા રાવે દરવાજો ખોલ્યો નહોતો જેથી તેને આશંકા ગઈ હતી. દરમિયાન પોલીસને સાથે રાખીને ઘરની તલાશી કરતા તે છત સાથેના હૂકમાં દોરી લટકાવી અને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
રાવની બોડી ડીકમ્પોઝ્ડ થયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. દરમિયાન રાવનો પરિવાર તેલંગાણામાં વસે છે. પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ તે નવેમ્બર મહિનાની 20મી તારીખે જ પ્રભુતામાં પગલાં પાડીને આવ્યો હતો.
30-31 વર્ષની ઉંમરના એક આશાસ્પદ પ્રાધ્યાપકે યુનિવર્સિટીના ક્વાર્ટર જમાં આપઘાત કરી લેતા અનેક પ્રશ્નો સર્જાયા છે. તેના અંગત જીવનમાં કોઈ સમસ્યા હતી કે કેમ તે તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે પરંતુ હાલ તો આ ઘટનાના કારણે અન્ય પ્રાધ્યાપકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે.
પોલીસે પૂર્ણચંદ્ર રાવના પરિવારનો સંપર્ક કરી અને તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથધરી છે. દરમિયાન પ્રાપ્ત અહેવાલો મુજબ રાવ કોન્ટ્રાક્ટ કર્મચારી હતો અને આ વર્ષે ડિસેમ્બરમાં યુનિવર્સિટીમાં એક વર્ષ સમાપ્ત થઈ રહ્યું હતું. જોકે, આ ઘટનાક્રમના કારણે રહસ્યોના વમળ ઘેરાયા છે તો પરપ્રાંતીય પ્રાધ્યાપકના પરિવાર માથે પણ આભ ફાટી પડ્યું છે.